મહારાષ્ટ્રના ૩૦ હજાર ખેડતોની કૂચને સાંપડેલી સફળતાથી પ્રેરાઈ ઓરિસ્સામાં પણ ૧૫ હજાર જેટલા ખેડૂતો પાટનગર ભુવનેશ્વરમાં ઉમટી પડ્યા છે.
આ પૈકી ૧૮૦ જેટલા ખેડતોએ ભૂખ હડતાળ એટલે કે અનસનનો આરંભ કર્યો છે. તેમની મુખ્ય માગણીઓમાં દેવામાફી અને ગરીબ ખેડૂતોને પેન્શન આપવાનો સમાવેશ થાય છે.ખેડૂતોએ આ સાથે રાજ્ય સરકારના બજેટમાં ૫૫ લાખ ગરીબ ખેડૂતોને મહિને રૂ. પ હજાર પેન્શન આપવા માટે રૂ. ૨૧,૬૦૦ કરોડની ફાળવણી કરવાની પણ માગણી કરી છે. રાજ્યમાં ૩૬ લાખ ખેડૂતો ગરીબ છે અને વિકાસથી વંચિત છે. ખેડૂતોએ નવનિર્માણ કૃષક સંગઠનના નેજા હેઠળ ભુવનેશ્વર વિધાનસભા નજીક દેખાવો યોજ્યા છે. તેમણે અનાજના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૧,૫૫૦થી વધારી રૂ. ૩,૦૦૦ કરવાની પણ માગણી કરી છે.સંગઠનના રાષ્ટ્રીય સંયોજક અક્ષયકુમારે જણાવ્યું હતું કે ફક્ત મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ કચ્છથી લઈ અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ખેડૂતો તેમની માગણીઓ માટે દેખાવો યોજનાર છે.