જોહાનિસબર્ગ ખાતે રમાયેલી ચોથી વનડે મેચમાં ખરાબ વાતાવરણ અને વરસાદના લીધે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે દક્ષિણ આફ્રિકાએ ભારત ઉપર ૧૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે પાંચ વિકેટે જીત મેળવીને વનડે શ્રેણીમાં લીડ કાપી હતી. ભારત હજુ પણ શ્રેણીમાં ૩-૧ની લીડ ધરાવે છે. હજુ બે મેચ બાકી હોવાથી આફ્રિકાને પણ શ્રેણી બરોબર કરવાની અને બીજી બાજુ ભારતને બે મેચો પૈકી માત્ર એક મેચ જીતવાની જરૂર શ્રેણી જીતવા માટે રહેલી છે. તે પહેલા આ મેચમાં ભારતે સાત વિકેટે ૨૮૯ રન સાત વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. શિખર ધવને ૧૦૦મી વનડે મેચ રમતા ૧૦૯ રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ પદ્ધતિ આધારે આફ્રિકાને ૨૮ ઓવરમાં ૨૦૨ રન કરવાના હતા જે મુશ્કેલ ટાર્ગેટ હોવા છતાં આફ્રિકાએ બનાવી લીધા હતા. અગાઉ કેપટાઉન ખાતે ૭મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૩-૦ની નિર્ણાયક લીડ મેળવી લીધી હતી. વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. તે પહેલા ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ વનડે મેચમાં પણ ભારતે જીત મેળવી હતી.
પાછલી પોસ્ટ