ભારતીય સેનાએ ફરી એકવાર એલઓસી પાર કરીને આક્રમક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં ત્રણ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. મોટી માત્રામાં પાકિસ્તાનને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે જ્યારે ભારતીય જવાનો એલઓસી પાર કરીને સફળ ઓપરેશન પાર પાડીને ફરીવાર સુરક્ષિત પરત ફર્યા છે. કેટલાક જાણકાર લોકો આને સર્જિકલ સ્ટ્રાઇક-૨ તરીકે પણ ગણી રહ્યા છે. ભારતીય જવાનોએ હાલમાં જ પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલાનો બદલો પણ લઇ લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની સામે મોટી કાર્યવાહી કરીને તેના ત્રણ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા છે. ભારતીય સૈનિકોએ એલઓસી પાર કરી હતી અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના રાવલકોટમાં ઓપરેશનને અંજામ આપ્યું હતું. એમ કહેવામાં આવી રહ્યું છે કે, શનિવારના દિવસે પાકિસ્તાનમાં હુમલામાં શહીદ થયેલા ભારતના ચાર જવાનોનો બદલો ભારતીય સેનાએ લઇ લીધો છે. પોકના રાવલકોટમાં કાર્યવાહીને અંજામ આપ્યા બાદ ભારતીય સૈનિકો સુરક્ષિત પરત ફર્યા હતા. સોમવારના દિવસે મોડી રાત્રે ભારતીય સેનાએ આ કાર્યવાહી કરી ત્યારે પાકિસ્તાનમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાદવના પરિવારના સભ્યો તેમને મળી રહ્યા હતા. પાકિસ્તાની મિડિયામાં આવી રહેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સૈનિકોના મોતના અહેવાલને સમર્થન મળી ગયું છે.
શનિવારના દિવસે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરતા એક મેજર સહિત ચાર ભારતીય જવાનો શહીદ થયા હતા. એલઓસી નજીક કેરી સેક્ટરમાં આ ઓપરેશન પાકિસ્તાન તરફથી હાથ ધરાયું હતું. પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈનિકોની પેટ્રોલ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં મેજર મોહારકર પ્રફુલઅંબાદાસ, લાન્સનાઇક ગુરમેલસિંહ, સિપાહી ફરગતસિંહ ગંભીરરીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન તેમના અવસાન થયા હતા. મેજર અંબાદાસ ૩૨ વર્ષીય હતા. તેઓ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના હતા. જ્યારે લાન્સનાઇક ગુરમેલસિંહ ૩૪ વર્ષીય હતા અને તેઓ અમૃતસરના હતા. ૩૦ વર્ષીય સિપાહી પરગતસિંહ હરિયાણાના કર્નાલ જિલ્લાના હતા. પાકિસ્તાની કાયરતાપૂર્વકની કાર્યવાહીનો ભારતીય જવાનોએ જોરદાર જવાબ આપ્યો છે. પાકિસ્તાની સૈનિકો આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાના હેતુસર વારંવાર અંધાધૂંધ ગોળીબાર કરે છે. અનેક વખત તેમને સફળતા પણ મળે છે જ્યારે અનેક વખત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.
પાછલી પોસ્ટ