ગુજરાતની રો રો ફેરી સેવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉદ્ઘાટન કર્યું હતું. માત્ર ભારતની જ નહીં બલ્કે દક્ષિણ એશિયન ક્ષેત્રની સૌથી મોટી અને ખાસ યોજના છે. આ યોજના મારફતે ભાવનગરથી ભરુચનું અંતર ૩૧૦ કિલોમીટરથી ઘટીને ૩૧ કિમી થઇ જશે. ૬૧૫ કરોડની આ યોજના મોદીની સૌથી મહત્વકાંક્ષી યોજના છે. રો રો એટલે રોલ ઓન રોલ ઓફ સર્વિસ છે. નામથી જ સાફ થઇ જાય છે કે, ચીજવસ્તુઓને ઉતારવી અને ચીજવસ્તુઓને લાદવી. આમા જહાજોને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે જેમાં કાર, ટ્રક, સેમિ ટ્રેલર, ટ્રકો, ટ્રેલર્સ અને અન્ય ચીજોનો સમાવેશ થાય છે. લોકો પણ આમા મુસાફરી કરી શકે છે. આ લિફ્ટ ઓન સર્વિસથી બિલકુલ અલગ છે જેમાં ક્રેનથી અન્ય કોઇ ચીજવસ્તુઓને ઉઠાવવામાં આવે છે અને બીજી જગ્યાએ મુકવામાં આવે છે. રો રો સેવા માટે જહાજોને એ રીતે તૈયાર કરવામાં આવે છે કે, બંદર ઉપર તેમાં ચીજવસ્તુઓને સરળતાથી લાદી શકાય છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં સ્થિત ઘોઘા બંદરથી રોલ ઓન રોલ ઓફ સેવા મારફતે ભરુચ જિલ્લા સુધી એક કલાકમાં પહોંચી શકાશે. આનાથી ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રો વચ્ચે કનેક્ટીવીટી મજબૂત થશે.
દરિયાઈ માર્ગની વાત કરવામાં આવે તો ભાવનગરના ઘોઘા બીજી તરફ ભરુચના દહેજથી ૩૧ કિમીના અંતરે છે. માર્ગ મારફતે ૩૬૦ કિલોમીટર થાય છે જેમાં પહોંચવામાં આઠથી નવ કલાક લાગે છે. જહાજ મારફતે ૧૦૦ વાહનો એક સાથે જઇ શકશે. ૨૫૦ યાત્રી પણ સફર કરી શકશે. કેન્દ્ર સરકારે ૧૧૭ કરોડ રૂપિયાની સાગરમાલા યોજના હેઠળ નાણા ફાળવ્યા છે. ગુજરાત સરકારના મરિન અને પોર્ટ બાબતો પાસે તેની જવાબદારી છે જે ૨૦૧૧માં ટેન્ડર જારી કરી ચુકી છે.