ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહેલાં કર્મચારીઓને સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકાર ભેટ આપી શકે છે. જે અંતર્ગત રુપિયા ૨૦ લાખ સુધીની ગ્રેચ્યુઈટીની રકમ ટેક્સ ફ્રી કરવામાં આવી શકે છે. અને આ અંગેનું બિલ પણ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.હાલમાં ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહેલા પગારદારોને રુપિયા ૧૦ લાખ સુધીની રકમ ટેક્સ ફ્રી આપવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શ્રમ અને રોજગાર પ્રધાન બંડારુ દત્તાત્રેય સંસદના આગામી ચોમાસુ સત્રમાં ગ્રેચ્યુટીની મર્યાદા વધારીને રુપિયા ૨૦ લાખ સુધી કરવાનું બિલ રજૂ કરી શકે છે. અને જો કેન્દ્રીય કેબિનેટમાં આ બિલને મંજૂરી આપવામાં આવશે તો સરકારી કર્મચારીઓની જેમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ મોટો લાભ મળશે. મહત્વનું છે કે, આમ થવાથી કર્મચારીને નિવૃત્તિના સમયે મોટું આર્થિક ભંડોળ મળવાપાત્ર થશે.સંસદનું ચોમાસું સત્ર આગામી ૧૭ જુલાઈથી શરુ થઈ રહ્યું છે. જેમાં ઉપરોક્ત ખરડામાં ગ્રેચ્યુઈટીની રકમની ચુકવણી કરવાના કાયદામાં સંશોધન કરવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જેથી કેન્દ્ર સરકાર કર્મચારીઓની આવક અને તેમાં વધારાને આધારે ગ્રેચ્યુઈટીની મર્યાદા નક્કી કરી શકે. અને તેમાં વધારો કરી શકે.ગ્રેચ્યુઈટીની ચુકવણીમાં સંશોધન અંગેના ખરડા વિશેના સવાલનો જવાબ આપતા શ્રમ અને રોજગાર પ્રધાન બંડારુ દત્તાત્રેયે જણાવ્યું કે, આ મુદ્દો સરકારના એજન્ડામાં પહેલેથી જ છે. કાયદામાં સંશોધન કરાયા બાદ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને રુપિયા ૨૦ લાખ સુધીનીગ્રેચ્યુઈટીની રકમ ટેક્સ ફ્રી મેળવવા હકદાર થશે.આપને જણાવી દઈએ કે,ગ્રેચ્યુઈટી એ કર્મચારીના પગારનો જ એક ભાગ હોય છે પરંતુ કર્મચારીને એ પ્રતિમાહ મળવાપાત્ર નથી હોતો. કર્મચારીને નોકરી છોડ્યા બાદ અથવા નિવૃત્તિ બાદ ગ્રેચ્યુઈટીની રકમ મળવાપાત્ર થાય છે
આગળની પોસ્ટ