રોંગ સાઇડ વાહન ચાલકોથી લોકો ત્રાસી ગયા છે પણ હવે તેઓને કાબુમાં લેવા માટે એક નવો આઇડિયા અમલમાં મૂકવામાં આવશે. નોઇડામાં રોંગ-સાઇડ વાહક ચાલકોને કાબુમાં રાખવા અને લોકો રોંગ સાઇડ વાહનો ન ચલાવે તે માટે રોડ પર ટાયર-કિલર મુકવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં આ પ્રયોગ પહેલી વખત થઇ રહ્યો છે.
ટાયર કિલર એક એવી વસ્તુ છે કે, જેમાં સીધી લેનમાં ચાલવાવાળા માટે સ્પીડ બ્રેકરનું કામ કરે છે પણ રોંગ સાઇડ વાહન ચલાવનારનું વાહન પંક્ચર થઇ જાય છે.
નોઇડા ઓથોરિટી દ્વારા પાંચ જગ્યાઓ શોધી પાડવામાં આવી જ્યાં આ પ્રકારનાં ટાયર કિલર રોડ પર લગાવવામાં આવશે. જેમાં સેક્ટર ૭૭માં નોર્થ આઇ જંક્શન પાસે સૌ પ્રથમ લગાવવામાં આવશે. આ ટાયર કિલર ગુરુવાર પહેલા લાગી જશે.
આ પછી આવા ટાયર કિલર યુ-ટર્ન વાળી જગ્યાઓ જેવી કે, સાઇ ટેમ્પલ, મેટ્રો સ્ટેશન વગેરે જગ્યાએ પણ લગાવવામાં આવશે. સ્થાનિક સત્તાવાળાઓને એવી આશા કે, આવા ટાયર કિલર લગાવવાથી રોંગ સાઇડ વાહનો ચલાવવા વાળા નહીં ચલાવે. આના કારણે લોકોના જીવ બચશે અને લોકો યોગ્ય દિશામાં અને નિયમો પ્રમાણે વાહનો ચલાવશે અને વ્યવસ્થા સારી રીતે જળવાશે.
નોઇડા ઓથોરિટીએ આ માટે નોઇડા ટ્રાફિક પોલીસ સાથે હાથ મિલાવ્યા છે અને સંયુક્ત રીતે આ પ્રયોગ હાથ ધર્યો છે. જ્યારે કોઇ વ્યક્તિ રોંગ સાઇડમાં વાહન ચલાવે છે ત્યારે તે વ્યક્તિ પોતાનો જીવ તો જોખમમાં મુકે જ છે પણ જે માણસ નિયમનું પાલન કરે છે તે વ્યક્તિનો પણ જીવ જોખમમાં મુકે છે.