ગુજરાત રાજયની ગત વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે જોરદાર દેખાવ કરી ભાજપને કાંટાની ટક્કર તો આપી અને રાષ્ટ્રીય કક્ષાએ પક્ષના દેખાવના એટલા જ જોરશોરથી વખાણ પણ થયા પરંતુ ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ પક્ષમાં વકરેલો આંતરિક વિખવાદ હજુ શાંત થવાનું નામ લેતો નથી. વિધાનસભા ચૂંટણી બાદ વિપક્ષના નેતા બનવાને લઇ કોંગ્રેસના ટોચના નેતાઓમાં હુંસાતુંસી અને ગજગ્રાહ સામે આવ્યા હતા તો, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં કેટલાક ઠેકાણે કોંગ્રેસના આવા આંતરિક વિખવાદની ઘટનાઓ સામે આવી હતી ત્યાં હવે વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા એવા પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલીમાં જોરદાર ગાબડુ પડયું છે. અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરવિંદ કાછડિયા અને ઉપપ્રમુખ દિલિપ બસિયાએ અચાકન રાજીનામું ધરી દેતાં પક્ષમાં ભારે ચકચાર મચી ગઇ છે. તો, વિપક્ષના નેતાના ગઢમાં ગાબડુ પડવાને લઇ ભાજપ ગેલમાં આવી ગયું છે, સાથે સાથે ફરી એકવાર રાજકીય ગરમાવો સર્જાયો છે. કોંગ્રેસ પક્ષમાં પણ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખના અચાનક રાજીનામાને લઇ કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓ પણ દોડતા થઇ ગયા છે, તો બીજીબાજુ, ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો વધુ એક મોકો મળી ગયો છે. બીજીબાજુ, વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ પડતાં અને આ વખતે શંકાની સોંય તેમના તરફ તકાતા એટલે કે, તેમની ગંદી રાજનીતિના કારણે આ બંને પદાધિકારીઓએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડતાં ધાનાણી પણ સમગ્ર પ્રકરણમાં સત્યનો કયાસ કાઢવામાં સક્રિય બન્યા છે. અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરવિંદ કાછડિયા અને ઉપપ્રમુખ દિલિપ બસિયાએ માત્ર અડધો-અડધો કલાકના અંતરે જ રાજીનામા ધરી દીધા હતા. આ બંને નેતાઓના અચાનક રાજીનામાથી સ્થાનિક નેતાઓથી લઇ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ દોડતા થયા છે. આગામી દિવસોમાં અમરેલી તાલુકા કોંગ્રેસમાંથી હજુ વધુ કેટલાક નારાજ આગેવાનો દ્વારા રાજીનામું અપાય તેવી પણ શકયતાઓ સેવાઇ રહી છે, જેનો ફાયદો ઉઠાવવા ભાજપ દ્વારા વ્યૂહરચના ગોઠવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પાછલી પોસ્ટ