શહેરમાં હીટ એન્ડ રનના કિસ્સાઓ એક પછી એક વધતા જાય છે. બે દિવસ પહેલાં જ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ જૈન દેરાસર પર એક આધેડને ટક્કર મારી મોત નીપજાવવાની ઘટના હજુ શમી નથી ત્યાં ગઇકાલે રાત્રે શહેરના જૂહાપુરા વિસ્તારમાં હાજી બાવાની દરગાહના રોડ પર એક યુવકને રીક્ષાચાલકે જોરદાર ટક્કર મારી ઉડાવી દેતાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માતના બનાવને પગલે ગભરાઇ ગયેલો રીક્ષાચાલક ત્યાંથી નાસી છૂટયો હતો. બીજીબાજુ, ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. વેજલપુર પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન બે દિવસ પહેલા પ્રેરણાતીર્થ દેરાસર પર કાર વડે એક આધેડને ટક્કર મારી તેનું મોત નીપજાવનાર આરોપી કારચાલકની આનંદનગર પોલીસે આજે ધરપકડ કરી લીધી હતી. આ બનાવની વિગતો એવી છે કે, શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં રહેતો અને છૂટક મજૂરીકામ કરતો પૂનમ બારિયા નામનો યુવક ગઇકાલે રાત્રે જૂહાપુરા વિસ્તારમાં હાજીબાવાની દરગાહના રોડ પર બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવેલા એક રીક્ષાચાલકે પૂનમ બારીયા નામના આ યુવકને જોરદાર ટક્કર મારી ઉડાવ્યો હતો. રીક્ષાની જબરદસ્ત ટક્કર વાગતાં પૂનમ ઉછળીને જોરથી જમીન પર પટકાયો હતો, જેના કારણે તેને માથામાં અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. યુવકના મોતના સમાચાર જાણી લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, અક્સ્માત સર્જનાર રીક્ષાચાલક પોતાની રીક્ષા ત્યાં મૂકીને ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં વેજલપુર પોલીસે ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન બે દિવસ પહેલાં શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ જૈન દેરાસર પાસે રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહેલા એક આધેડને કારની ટક્કરથી ઉડાવી તેનું મોત નીપજાવનાર અને નાસી છૂટનાર આરોપી કાર ચાલકને આજે આનંદનગર પોલીસે ઝડપી લીધો હતો અને તેની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.