‘લાભના પદ’ને લઈને આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોનું પદ રદ્દ કરવામાં આવતા આપે ચૂંટણી પંચ પર પલટવાર કર્યો છે. આપના નેતા સૌરભ ભારદ્વાજે ચૂંટણી પંચના નિર્ણયને આપ વિરુદ્ધ કાવતરું ગણાવ્યું હતું. પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર પણ જોરદાર પ્રહાર કર્યો છે. ભારદ્વાજે કહ્યું કે, ‘મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જ્યોતિ નિવૃત થતા અગાઉ વડાપ્રધાન મોદીનું ઋણ ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ ચૂંટણી પંચના નિર્ણયને આપે દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. આપના ધારાસભ્ય મદન લાલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે હાઈકોર્ટે આપના ધારાસભ્યોને વચગાળાની રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.
ઓફિસ ઓફ પ્રોફિટના મુદ્દે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર પર આપે પલટવાર કર્યો છે. આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે સીઈસી અચલ કુમારનો ૨૩ જાન્યુઆરીના જન્મદિવસ છે. તેઓ ૬૫ વર્ષના થઈ રહ્યા છે. જ્યોતિ નિવૃત થાય તે પૂર્વે પીએમ મોદીનું ઋણ ઉતારવા માંગે છે.
તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચમાં આપના કોઈપણ ધારાસભ્યનું નિવેદન લેવાયું નથી.આપના વધુ એક નેતાએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચ સત્તાધારી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગળ નતમસ્તક થઈ ગયું છે. આપના નેતા આશુતોષે ટ્વીટ કર્યું, ‘ચૂંટણી પંચે પીએમઓનું લેટર બોક્સ ના બનવું જોઈએપ પરંતુ આજે આ હકીકત છે. મારા જેવી વ્યક્તિ જે રિપોર્ટર તરીકે ટી. એન. સેષન (પૂર્વ ચૂંટણી કમિશનર)ના સમયગાળામાં ચૂંટણી પંચને કવર કરી ચૂક્યો છે, આજે કહી શકું છું કે ચૂંટણી પંચ ક્યારેય આટલી નીચી પાયરી પર ઉતર્યું નથી. આ દુઃખદ છે.’
શુક્રવારે ચૂંટણી પંચની ટોચની બેઠક બાદ આપના કેટલાક ધારાસભ્યો અંગે રાષ્ટ્રપતિને અહેવાલ મોકલવાનો નિર્ણય કરાયો. આ મુદ્દે રાષ્ટ્રપતિના નિર્દેશને આધારે તપાસ થઈ રહી હતી. જો કે આપે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ હાઈકોર્ટે વચગાળાની કોઈ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે અને કહ્યું હતું કે પંચના સવાલોનો જવાબ શા માટે પક્ષે આપ્યો નહીં. પંચે આપના ૨૧ ધારાસભ્યોને લાભના પદ મુદ્દે કારણ દર્શાવો નોટિસ મોકલી હતી. ઉલ્લેખનીય છે કે જરનેલ સિંઘ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
પાછલી પોસ્ટ