કોંગ્રેસના સિનિયર નેતા અને બોલીવુડ એકટર રાજ બબ્બર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે સુરતમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી પહેલાં તેની હાર જોઇ ગઇ છે. ભાજપ વિકાસના મુદ્દા કરતાં ધર્મના મુદ્દાને વધુ ઉછાળી રહી હોય એવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીના ધર્મ વિશે સવાલ ઉઠાવનારાઓને વળતો જવાબ આપતાં રાજ બબ્બરે જણાવ્યું કે, અમિતશાહ હિન્દુ નહી પણ જૈન છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઇવીએમમાં ભાજપનો કાળો જાદુ ના ચાલે તે માટે માં ભવાનીને પ્રાર્થના કરીશું. રાજ બબ્બરે ઇવીએમમાં ગરબડીની દહેશત વ્યકત કરતાં અને ભાજપ પર સીધું નિશાન તાકતાં જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં અમે ઇવીએમમાં ગરબડીના ૭૦ કિસ્સા અમે પકડયા હતા. ત્યાં ઇવીએમમાં ગરબડીના કારણે જ ભાજપ જીત્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ઇવીએમ સાથે ચેડા ના થાય અને ઇવીએમમાં ભાજપનો કાળો જાદુ ના ચાલે તે માટે અમે મા ભવાનીને પ્રાર્થના કરીશું. તેમણે ઇવીએમમમાં છેડછાડ અને ચેડાની દહેશત વ્યકત કરી હતી. રાજ બબ્બરે મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક સમાજ અને વર્ગમાં આજે ભાજપના છેલ્લા ૨૨ વર્ષના અત્યાચારી શાસનને લઇ ઉગ્ર આક્રોશ અને અસંતોષ છે. પાટીદાર, દલિત કે ઓબીસી સમાજને માર મરાયો છે. ભાજપના અત્યાચારી શાસનથી પ્રજા ત્રાહિમામ્ પોકારી ઉઠી છે. કેન્દ્રમાં પણ મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ છે. રાજ બબ્બરે મહિલાના મુદ્દે ભાજપ પર ચાબખા વરસાવ્યા હતા કે, ભાજપ રાજમાં ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત રહી નથી. મહિલા અને યુવતીઓ પર દુષ્કર્મની ઘટનાઓ નોંધનીય રીતે વધી છે. મોટા ભાગના સંવેદનશીલ દુષ્કર્મના કેસોમાં તો ભાજપના નેતાઓ અને આગેવાનોની જ સંડોવણી છે. જેથી મહિલાઓ સુરક્ષાને લઇને પણ રાજયમાં સવાલો ઉભા થયા છે.
પાછલી પોસ્ટ