સેવા સહકારી સંઘ(ફેડરેશન)એ આજે ૨૫ વર્ષની તેની નોંધપાત્ર યાત્રાના ભાગરૂપે સહકારિતાની રજતજયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેવાના સ્થાપક ઇલાબહેન ભટ્ટ અને સેવાના હાલના પ્રમુખ મીરાઇબહેન ચેટરજીએ જણાવ્યું હતું કે, અંસગઠિત ક્ષેત્રની ૧૫ લાખ શ્રમજીવી બહેનોના રાષ્ટ્રીય યુનિયન સેવા(સ્વાશ્રયી મહિલા સેવા સંઘ)દ્વારા ફેડરેશન પ્રેરિત છે જે ગરીબ, પછાત અનએ શ્રમજીવી મહિલાઓના ઉત્કર્ષ માટે હરહંમેશ પ્રયત્નશીલ છે. આજે ગુજરાત રાજય મહિલા સેવા સહકારી સંઘમાં ગુજરાતની ૧૦૬ સભ્ય મંડળીઓ છે અને ફેડરેશન અને તેની સભ્યમંડળીઓ ગુજરાતની ત્રણ લાખ બહેનો સુધી પહોંચી છે. નોંધનીય વાત એ છે કે, રૂ.૪૦૦ કરોડના ટર્ન ઓવર સાથે સેવા બેંક એ સૌપ્રથમ અને સૌથી મોટી મેમ્બર કો-ઓપરેટીવ એટલે કે, સભ્ય મંડળી બની છે. બહેનો અને મહિલાઓ માટે આ અનોખો રેકોર્ડ એ બહુ મોટા ગૌરવની વાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેવા દ્વારા મંડળીઓના નેજા હેઠળ શ્રમજીવી બહેનોને સંગઠિત કરીને ૧૯૯૨માં બહેનોનું પોતાનું ફેડરેશન રચ્યું અને મંડળી તરીકે નોંધણી પણ કરાવી હતી અને આજે ફેડરેશનની સભ્યમંડળીઓ આર્થિક રીતે સ્વનિર્ભર બની છે. ખેતીકામ, ડેરી ઉદ્યોગ, કલા-કારીગરી, સેવાઓ, બચત-ધિરાણ, બાંધકામ અને ઘરેલુ કામ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મંડળીઓને ફેડરેશને આવરી લીધી છે. સ્વરાજનો તેમનો દ્રષ્ટિકોણ રોટી, કપડા અને મકાન ઉપરાંત નાણાંકીય, આરોગ્ય અને શૈક્ષણિક એમ ત્રણ પ્રાથમિક સેવાઓ, સ્થાનિક સ્તરે, આર્થિક અને પર્યાવરણીય રીતે ટકાઉ અને મહિલાઓ દ્વારા સંચાલિત હોય તે જરૂરી છે એમ સેવાના સ્થાપક ઇલાબહેન ભટ્ટ અને સેવાના હાલના પ્રમુખ મીરાઇબહેન ચેટરજીએ ઉમેર્યું હતું. આ પ્રસંગે સૌંદર્ય સફા મંડળીના પ્રમુખ મંજુલાબહેન વાઘેલા કે જેમનું સ્વચ્છ ભારતમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ અમિતાભ બચ્ચને અભિવાદન કર્યું હતું તેમણે પોતાના અનુભવો જણાવ્યા કે, તેમને હવે નિયમિત રીતે કામ અને આવક મળે છે. બેંકમાં તેમના ખાતા છે અને વીમો ઉતરાવી તેમણે સલામતી પણ મેળવી છે. આ સિવાય પેન્શનની વ્યવસ્થા માટે પણ થોડાક રૂપિયા અલગ રાખ્યા છે. તો, મેઘા મહિલા ખેતઉત્પાદક સહકાર મંડળીના પ્રમુખ લતાીબહેન ગામીતે જણાવ્યુ હતું કે, પહેલા તેમને સહકારી મંડળી વિશે કંઇ ખબર જ ન હતી. પરંતુ મંડળી વિશે જાણ્યા અને તેમાં જોડાયા પુછી અમારી સ્થાનિક આદિવાસી મહિલાઓમાં મોટુ હકારાત્મક પરિવર્તન આવ્યું છે. માત્ર ત્રણ વર્ષ જૂની અમારી મંડળીમાં ૧૦૦૦ શેરહોલ્ડર્સ છે. આ પ્રસંગે ફેડરેશનના પૂર્વ પ્રમુખ લલિતાબહેન ક્રિષ્નાસ્વામી, ફેડરેશનના એમડી નમ્યાબહેન મહાજન, ડેપ્યુટી એમડી જયાબહેન વાઘેલાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.