પાટણ યુનિવર્સિટીના એમબીબીએસ કૌભાંડ મામલે મંગળવારે કુલપતિ સહિત અન્ય કસુરવારોને સીઆઇડી ક્રાઇમ બ્રાંચ ગાંધીનગર દ્વારા નિવેદનો લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચની ઓર્ચિતા તેડાને લઇ કુલપતિએ આજે પણ આ કૌભાંડમાં કસુરવાર ન હોવાનો રાગ આલાપી રહ્યા છે અને જે પણ કસુરવાર હશે તેનું આ તપાસમાં ચોક્કસ નામ ખુલશે તેમ કુલપતિ જણાવી રહ્યા છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસ સેમ.1 માં 3 વિધાર્થીઓની ઉત્તરવહીઓ બદલી તેમને પાસ કરવાનું મસમોટુ કૌભાંડ બહાર આવતા યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આ કોભાંડ મામલે સર્ચ કમીટીની તપાસ બાદ તેનો હવાલો સીઆઇડી ક્રાઇમ બ્રાંચ ગાંધીનગરે સંભાળતા સોમવારે કુલપતિ, રાજીસ્ટાર પરીક્ષા નિયામક તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 7 કર્મચારીઓને ગાંધીનગર ખાતે જવાબ આપવા બોલાવવામાં આવ્યા હતા.
સીઆઇડી ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ કસુરવારોના નિવેદનો અને પુરાવા લીધા બાદ આ કોભાંડમાં કસુરવાર હશે તેના નામો ટૂંક સમયમાં જ બહાર આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારે કુલપતિ ડો.જે.જે.વોરા પોતે આ કૌભાંડમાં ન હોવાનું જણાવી રહ્યા છે.