બિહારમાં આરજેડી, કોંગ્રેસ, કુશવાહની પાર્ટી, માંઝીની પાર્ટી અને વીઆઈપી મહાગઠબંધન લોકસભાની ૪૦ બેઠક પર ભાજપના નેતૃત્વ ધરાવતા એનડીએને સીધી ટક્કર આપી રહ્યું છે.
બંને તરફના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ ગઠબંધન રાજનીતિના દબાણ અને વ્યક્તિત્વોના ટકરાવના કારણે કેટલીક બેઠકો પર સીધો નહીં પરંતુ ત્રિપાંખિયો મુકાબલો છે. જોકે, બિહારની વર્તમાન પરિસ્થિતિમાં આરજેડી નેતા અને ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પોતાના ગઠબંધનના વિજયને લઈને નિશ્ચિત છે. તેજસ્વી યાદવે એક મુલાકાતમાં મુખ્યમંત્રી નીતીશ કુમારનું કોઈ ફેક્ટર હોવાનો ઈનકાર કર્યો છે. તેજસ્વીને પોતાની સરખામણી કન્હૈયા કુમાર સાથે કોઈ કરે એ પણ પસંદ નથી. તેજસ્વી યાદવે કન્હૈયા સંદર્ભે કહ્યું કે, કઈ વાતની સરખામણી, મારી અને એની વચ્ચે કોઈ સમાનતા નથી. અમારા અને કન્હૈયાના કામમાં ખૂબ મોટું અંતર છે.
ચૂંટણીમાં મહાગઠબંધનની લડાઈ નીતીશ કુમારથી છે કે નરેન્દ્ર મોદી સાથે ? તેવા પ્રશ્નના જવાબમાં તેજસ્વી યાદવે કહ્યું કે, આજે નીતીશજી કોઈ ફેક્ટર નથી. એ જ્યાં છે, ત્યાંની નાવ પણ ડુબાડી દેશે. અમારે આ વખતે ભાજપને જવાબ આપવાનો છે. એક પણ વચન પૂર્ણ કર્યું નથી. તેનો પ્રજા સારી રીતે જવાબ આપશે.
ગઠબંધન જીતશે તો વડાપ્રધાન કોણ બનશે ? પ્રત્યુત્તરમાં તેજસ્વી યાદવે કહ્યું કે, અમે લોકો રેસમાં નથી અને પલટુ ચાચા(નીતીશ) પણ નથી. એક વાત નક્કી છે કે આ ચૂંટણી એક વ્યક્તિને વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી નથી. દેશને બચાવવા માટેની ચૂંટણી છે. અમને રાહુલ ગાંધી વડાપ્રધાન તરીકે સ્વીકાર્ય રહેશે.