Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈઝરાયલમાં કામ કરવા ભારતના હજારો કામદારોની ભરતી કરાશે

દુનિયાના મોટા ભાગના દેશોમાં હાલમાં સ્કીલ્ડ લેબરની અછત છે જેમાં હવે ઈઝરાયલનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલ-ગાઝા યુદ્ધના કારણે ત્યાં ખેતીવાડી, હેલ્થકેર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં મજૂરો અને કારીગરોની તંગી પેદા થઈ છે. અત્યાર સુધી પેલેસ્ટાઈનના લોકો ઈઝરાયલમાં કન્સ્ટ્રક્શન અને કૃષિ ક્ષેત્રમાં મજૂર અથવા કારીગર તરીકે કામ કરતા હતા, પરંતુ યુદ્ધના કારણે તેમને કામ આપી શકાય તેમ નથી. પરિણામે ઈઝરાયલે ભારત અને શ્રીલંકામાં હજારો લોકોની ભરતી કરી છે. ઈઝરાયલમાં બાંધકામ ઉદ્યોગ બહુ મોટો છે. તેવી જ રીતે ખેતીમાં પણ બહારના લોકોને મોટા પાયે રોજગાર પર રાખવામાં આવે છે. સ્કીલ્ડ લોકો માટે ઈઝરાયલમાં હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી ડિમાન્ડ છે. આવી સ્થિતિમાં ભારતના હજારો લોકો ઈઝરાયલમાં કામ કરવા માટે તૈયાર થયા છે. આગામી સપ્તાહમાં હજારો ભારતીયોને ઈઝરાયલ કામ કરવા માટે મોકલવામાં આવશે. તેની સાથે શ્રીલંકાના લોકો પણ જોડાશે. ભારત અને શ્રીલંકા બંને અત્યારે મોટા પ્રમાણમાં બેરોજગારીનો સામનો કરે છે તેમ ન્યુયોર્ક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે. નવાઈની વાત એ છે કે શ્રીલંકા આર્થિક રીતે ભાંગી પડ્યું છે અને ભારત સૌથી ઝડપથી વિકસતા દેશોમાં સ્થાન ધરાવે છે. છતાં ભારતમાં બેરોજગાર લોકોની સંખ્યા બહુ મોટી છે. ગઈ ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યારથી સ્થિતિ બદલાઈ ગઈ છે અને ઘણા સેક્ટરમાં બહારના લોકોને કામ કરવા બોલાવવા પડે તેમ છે. ઈઝરાયલે પેલેસ્ટાઈન બોર્ડર બંધ કરી દીધી હોવાથી અત્યાર સુધી જે લોકો ખેતરોમાં અથવા બાંધકામ સાઈટ પર કામ માટે આવતા હતા તેમનું આવવાનું બંધ થઈ ગયું છે. ઈઝરાયલમાં હાલમાં ૩૦ હજાર વિદેશી વર્કર્સ છે જેમાંથી કેટલાક થાઈલેન્ડ અને નેપાળના લોકો પણ છે. હમાસના હુમલામાં કેટલાક વિદેશીઓ પણ માર્યા ગયા હતા. ભારત અને ઈઝરાયલ વચ્ચે તાજેતરમાં કામદારો અંગે એગ્રીમેન્ટ થયા છે જેના ભાગરૂપે ઈઝરાયલની કંપનીઓને ભારતમાંથી હજારો લોકોની અરજીઓ મળી છે. હરિયાણાના મુકેશ નામના એક કામદારે કહ્યું કે ગાઝા યુદ્ધના કારણે ઈઝરાયલમાં ઘણું જોખમ હોવા છતાં તે અને તેના કામના બીજા ઘણા લોકોએ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જોબ માટે અરજી કરી છે. એક બાંધકામ કંપનીએ કહ્યું કે તેને ૨૫૦૦ અરજીઓ મળી છે. મુકેશે કહ્યું કે તેને ઈઝરાયલમાં કામ મળશે તો તે દર મહિને થોડી બચત કરીને ઘરે મોકલશે જેનાથી તેના બાળકોને સારું શિક્ષણ મળી શકશે, તથા પોતાનું દેવું પણ ઉતારી શકશે. ગયા મે મહિનામાં ભારત અને ઈઝરાયલ વચ્ચે રિક્રુટમેન્ટ અંગે કરાર થયા હતા. તે પ્રમાણે ભારતના ૪૨,૦૦૦ લોકોને ઈઝરાયલ પોતાને ત્યાં કામ આપશે. તેમાંથી ૩૪,૦૦૦ લોકો બાંધકામ ક્ષેત્રે કામ કરશે જ્યારે ૮,૦૦૦ લોકોને હેલ્થકેરમાં કામ મળશે. આ ઉપરાંત શ્રીલંકાના ૧૦,૦૦૦ લોકો પણ મિડલ ઈસ્ટના દેશ ઈઝરાયલમાં કામ કરવા જવાના છે. તેઓ મોટા ભાગે કેરગિવર તરીકે કામ કરશે અને વૃદ્ધો તથા બીમાર લોકોની સેવા કરશે. શ્રીલંકાની સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ ઈઝરાયલમાં ખેતીવાડી માટે પણ માણસો મોકલવા તૈયાર છે. ઈઝરાયલના અધિકારીઓ સ્વીકારે છે કે ગાઝા યુદ્ધના કારણે તમામ લોકો વ્યસ્ત હોવાના કારણે કૃષિ, હેલ્થકેર, કન્સ્ટ્રક્શન સહિતના સેક્ટરને ઘણો ફટકો પડ્યો છે. ઈઝરાયલી યુવાનો હાલમાં યુદ્ધ લડવામાં લાગેલા છે. તેના કારણે ઈકોનોમી માટે એક પ્રકારની કટોકટી પેદા થઈ છે. ૭ ઓક્ટોબરે હમાસના એટેક અગાઉ ઈઝરાયલમાં પેલેસ્ટાઈનના ૮૦,૦૦૦ લોકો કામ કરતા હતા. આ ઉપરાંત ચીન, પૂર્વ યુરોપ, ભારત, થાઈલેન્ડના પણ હજારો કામદારો હતા અને બે લાખ ઈઝરાયલી લોકો કામ કરતા હતા. એક સમયે વેસ્ટ બેન્કમાંથી ઈઝરાયલમાં રોજના ૧.૨૪ લાખ લોકો કામ કરવા આવતા હતા. પરંતુ હવે તેની સંખ્યા ઘટીને ૭૦૦૦થી પણ ઓછી થઈ ગઈ છે. ભારતીય કામદારોને યુદ્ધગ્રસ્ત ઈઝરાયલમાં મજૂર તરીકે મોકલવામાં આવે તેનો વિરોધ થયો છે. ભારત ઘણા સમયથી ઈઝરાયલની નજીક છે અને તેની સાથે ડિફેન્સ ડીલ પણ કરી છે. જોકે, પેલેસ્ટાઈનવાસીઓના અધિકારોને પણ ભારતે ટેકો આપ્યો છે. ભારતીય કામદારો માટે ઈઝરાયલમાં વર્ક પરમિટ કામચલાઉ ધોરણે હશે. આગળ જતા પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે.

Related posts

India will benefit from trade agreement between US-China : Experts

aapnugujarat

એચ-૧બી અરજીની પ્રક્રિયા આજથી શરૂ

aapnugujarat

વડાપ્રધાને યુએનની ૭૫મી વર્ષગાંઠ પર યુએનજીએની બેઠકને સંબોધી

editor
UA-96247877-1