ઉત્તર લંડન સ્થિત સ્વામિનારાયણ મંદિરમાંથી ભગવાન હરિકૃષ્ણની ૪૩ વર્ષ જૂની ત્રણ મૂર્તિઓની ચોરી થઈ છે. શુક્રવારે દિવાળીની પૂજા પૂરી થયા પછી આ ચોરી થઈ હતી. મંદિરમાં પૂજા કરવા માટે હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા ત્યારે આ ઘટના બની હતી. મંદિરના અધ્યક્ષ કુરજીભાઈ કેરાઈએ જણાવ્યું હતું કે આ મૂર્તિઓ ૧૯૭૫માં મંદિર નિર્માણના સમયે લાવવામાં આવી હતી અને આ મૂર્તિઓનું અમારા સમુદાયમાં અતિ મહત્વ હતું. લંડનની વિલ્સડેન લેનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા, જેમણે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, શકમંદો સ્થળ છોડીને નાસી ગયા છે અને સીસીટીવીના આધારે તેમની શોધ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ ચોરીની તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. મંદિરના વ્યવસ્થાપકોએ જણાવ્યું કે, હરિકૃષ્ણની મૂર્તિ પિત્તળની છે અને ચોરી કરનારા તેને સોનાની સમજીને લઈ ગયા છે. મૂર્તિઓની સાથે રોકડ રકમ અને અન્ય વસ્તુઓ પણ લઈ ગયા હોવાનું પણ મનાઈ રહ્યું છે. આ કેસમાં સ્કોટલેન્ડ યાર્ડે ફોરેન્સિક તપાસ પણ હાથ ધરી છે જેથી સીસીટીવીની યોગ્ય વિગતો મળી શકે.
આગળની પોસ્ટ