શહેરના નરોડા જીઆઇડીસીમાં આવેલી ડેરી પ્રોડક્ટ બનાવતી ફેકટરીમાં ફરજ બજાવતાં એક કેશીયર દ્વારા જ ડેરીમાંથી રૂ.૧.૧૨ કરોડની ઉચાપત કરી રફુચક્કર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. નરોડાની જૈન ડેરીના મેનેજર દ્વારા આ સમગ્ર બનાવ અંગે નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, એક મહિનામાં ડેરી પ્રોડક્ટનું વેચાણ કરીને આવેલા રૂ.૩૫કરોડમાંથી આરોપી કેશીયર રૂ.૧.૧૨ કરોડ બહુ સિફતતાપૂર્વક કાઢી લઇ ઉચાપત કરી હતી અને પછી રજા પર ઉતરી ગયો હતો. બાદમાં ડેરીના હિસાબોની તપાસ કરાતાં તેમાં ગોટાળાનો ખુલાસો થયો હતો. નાના ચિલોડા શાંતિનગર સોસાયટી ખાતે રહેતા અને નરોડા જીઆઇડીસીમાં જૈન ડેરીમાં કેશીયર તરીકે ફરજ બજાવતાં વિજય બચુલાલ પાલ જૈન ડેરીના પ્રોડક્ટમાં જે કોઇ આવક થતી હતી, તે તમામ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાની જવાબદારી નિભાવતા હતા. ગત તા.૨૦-૧-૨૦૧૮ના રોજ વિજય પાલ નોકરીમાં નહી આવતાં જૈન ડેરીના કર્મચારીઓએ તેને ફોન કરી પૃચ્છા કરાઇ હતી, જેમાં કેશીયરે જવાબ આપ્યો હતો કે, તેના ઉત્તરપ્રદેશમાં રહેતા એક સંબંધીનું મરણ થયુ હોવાથી તે વતન આવ્યા છે. થોડાક દિવસ સુધી વિજય પાલ નોકરીમાં નહી આવતાં જૈન ડેરીના ડાયરેકટર સહિતના કર્મચારીઓએ તેને ફોન કરી ફરી પૃચ્છા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો મોબાઇલ આ વખતે સ્વીચ ઓફ આવતો હતો. જેથી જૈન ડેરીના મેનેજર આલાપ શાહને શંકા જતાં તેમણે તા.૧૩-૧૨-૨૦૧૭થી તા.૧૯-૧-૨૦૧૮ સુધીના હિસાબોની તપાસ કરાવડાવી હતી. જેમાં માલૂમ પડયું હતું કે, આ એક મહિના દરમ્યાન કુલ રૂ.૩૫ કરોડની ડેરી પ્રોડકટનું વેચાણ થયું હતું અને તેમાથી કેશીયર વિજય પાલે રૂ.૩૩.૮૯ લાખ જ એકાઉન્ટમાં જમા કરાવ્યા છે. ખુદ કેશીયર દ્વારા રૂ.૧.૧૨ કરોડની ઉચાપત કરવામાં આવતાં ડેરીના મેનેજર આલાપ શાહે આરોપી કેશીયર વિજય પાલ વિરૂદ્ધ નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડેરીના કર્મચારીઓએ કેશીયરના ઘરે તપાસ કરી તો તેનું મકાન બંધ છે અને તેનો મોબાઇલ પણ બંધ આવે છે. નરોડા પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી આરોપી કેશીયરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાછલી પોસ્ટ