પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (પીએનજીઆરબી) એ ભારતના સૌથી મોટા ધનપતિ મુકેશ અંબાણીને તેમની ખોટમાં ચાલી રહેલી ઇસ્ટ-વેસ્ટ નેચરલ ગેસ પાઇપલાઇનનું કેનાડાની બ્રુકફિલ્ડને વેચાણ કરવા માટેની મંજૂરી આપી દીધી છે.
એક ઉચ્ચ અધિકારીએ આ વાત જણાવી હતી. ભારતના એનર્જી સેક્ટરમાં બ્રુકફિલ્ડનું આ પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ હશે. જો કે આ ડીલમાં કેટલી રકમનું ટ્રાન્ઝેક્શન થશે તેની માહિતી જાહેર કરી નથી. મુકેશ અંબાણીની રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે એક દાયકા પૂર્વે ૧૪૦૦ કિમી લાંબી પાઇપલાઇનનું નેટવર્ક બનાવ્યું હતું. આ પાઇપલાઇન આંધ્રના દરિયા કિનારે કાકીનાડાને ગુજરાતના ભરૂચને જોડે છે.
હાલ આ કંપનીનું નામ બદલીને ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન લિમિટેડ (ઇડબ્લ્યુપીએલ) કરવામાં આવ્યું છે. આ પાઇપલાઇન નેટવર્કની ક્ષમતા દૈનિક આઠ કરોડ ધનમીટર નેચરલ ગેસનું ટ્રાન્સપોર્ટેશન કરવાની છે.વર્તમાનમાં આ પાઇપલાઇન નેટવર્ક તેની કુલ ક્ષમતાના પાંચ ટકાથી પણ ઓછી કેપેસિટીએ કામગીરી કરી રહી છે. કારણ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેજી-ડી૬ બ્લોકનું ઉત્પાદન ધારણા કરતા નોંધપાત્ર ઘટી ગયું છે. નોંધનિય છે કે, ઇસ્ટવેસ્ટ પાઇપલાઇન કંપનીએ માર્ચના અંતે પૂરાં થયેલા નાણાંકીય વર્ષમાં રૂ.૮૮૪ કરોડની ઓપરેટિંગ રેવન્યૂ અને રૂ.૭૧૫ કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી હતી. આ ખોટ મુખ્યત્વે તેની પાઇપલાઇનની ક્ષમતા કરતાં ઓછી કેપેસિટીએ કામગીરીને કારણે થઇ છે. કંપનીની વાર્ષિક બેલેન્સ સીટના આંકડા મુજબ માર્ચના અંતે કંપની ઉપર કુલ રૂ.૧૩,૭૧૫ કરોડનું દેવું હતું અને આ પ્લાન્ટ સહિત પ્રોપર્ટી અને ઇક્વિપમેન્ટની એસેટ્સનું મૂલ્ય લગભગ રૂ.૧૧,૦૦૦ કરોડ જેટલું થાય છે. બીજા શબ્દોમાં કહીયે તો કંપનીની કુલ સંપત્તિ કરતા તેનું ઋણબોજ વધારે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ