અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરતા વિજ પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત વિજ કંપનીના વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ ધાનેરા શહેરના ૮૦થી ૯૦ ટકા વિસ્તારોમાં વિજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. અનાજ દળવાની ઘંટીઓ, હોસ્પિટલ અને વોટરવર્ક્સમાં વિજ પુરવઠો સ્થાપિત કરવાની કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આખા વિસ્તારમાં વિજળી સામાન્ય કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં ૪૧ ટીમો વિજ પુરવઠાને સામાન્ય બનાવવા લાગેલી છે. બનાસકાંઠા, પાટણ અને અન્ય વિસ્તારોમાં પણ જ્યાં વિજળી પુરવઠો ખોરવાયો છે ત્યાં વિજ પુરવઠાને પુનઃ સ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. પાણી ઘટી ગયા બાદ હવે આ પ્રક્રિયાને વધુ તીવ્ર બનાવીને વહેલી તકે જનજીવનને સામાન્ય બનાવવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુ મૃત્યુના મામલામાં મૃત પશુઓના નિકાલ માટે ઝડપી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. બીજી બાજુ પુરગ્રસ્ત બનાસકાંઠામાં હાલત ખુબ જ કફોડી બનેલી છે.
બનાસકાંઠા જિલ્લાના ૪૭૮ ગામોમાં હજુ પણ વિજ પુરવઠો ખોરવાયેલો છે. સબ સ્ટેશનોમાં પાણી ભરાઈ જવાના કારણે અથવા તો સલામતીના કારણોસર વિજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતનું વિજ તંત્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. વિજળી વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાલમાં બનાસકાંઠા જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે. પાણી ઓસરી ગયા બાદ તરત જ વિજ પુરવઠો યથાવત કરવા માટે તંત્ર પહેલાથી જ સજ્જ થયેલું છે.
previous post