વિજાપુર તાલુકાના વસાઈ ગામનજીક હિંમતનગર મહેસાણા હાઇવે પર ઇકો કારની ટક્કર વાગતા મજૂરી માટે સવારે જઈ રહેલી શ્રમજીવી બે મહિલા ના કરૂણ મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ આવે તે પહેલાં ઘટના સ્થળ ઉપર જ બંન્ને મહિલાઓનાં મોત નિપજ્યા હતાં. મહિલાઓની લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વિજાપુર તાલુકાના વસાઈ ગામે મહેસાણા તરફથી બેફામ ગતિએ આવી રહેલ ઇકો ગાડી નં. જીજે-૧૯-એએમ૦૯૭૮ના ચાલકે વસાઈ સબ સ્ટેશનથી સધી માતાના મંદિર પરના રોડ પર ગાડી પરનો કાબુ ગુમાવતા વહેલી સવારે વસાઈ ગામની બે શ્રમજીવી મહિલા પરમાર સીતાબેન નટવરભાઈ તથા પરમાર ખેમીબેન નારાયણભાઈ ખેતરમાં મજૂરી માટે જઈ રહેલ હતી જેઓને બેફામ કાર ચાલકે અડફેટે લેતા બન્ને મહિલા ૨૦ ફૂટ સુધી ઘસડાઈ હતી અને બન્નેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. એક જ ગામની બન્ને મહિલાઓના કરુણ મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બન્ને પરિવારમાં કરુણતા છવાઈ ગઈ હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)