કેરળના કોલ્લમમાં એક ૨૭ વર્ષીય મહિલાનું કથિત રીતે ભૂખથી મોત થઈ ગયું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાને તેનો પતિ અને તેની સાસુ દહેજ માટે પીડા આપતા હતા. બંનેએ તેને ભોજન આપવાનું બંધ કરી દીધું હતું. કરુણાનાગાપલ્લીમાં રહેતી તુષારાને તેના સાસરિયાઓએ ઘણા લાંબા સમય સુધી યોગ્ય ભોજન આપ્યું ન હતું. મહિલાને છેલ્લા અનેક દિવસોથી ફક્ત ભીના ચોખા અને ખાંડનું પાણી આપવામાં આવતાં હતાં. મહિલાનું કોલ્લમની હોસ્પિટલમાં મોત થઈ ગયું હતું. પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે જણાવ્યું કે, ૨૧મી માર્ચે અડધી રાત્રે જ્યારે મહિલાનું મોત થયું હતું ત્યારે તેનું વજન ફક્ત ૨૦ કિલોગ્રામ હતું.
તુષારાના પતિ ચંદુલાલ અને તેની સાસુ ગીતાલાલની ધરપકડ કરી તેને રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. મહિલાના મોત બાદ પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.
એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, “મહિલા હાડપિંજર જેવી લાગી રહી હતી, તેના શરીર પર માંસ નજરે પડતું ન હતું. તેનું વજન ફક્ત ૨૦ કિલોગ્રામ હતું. તેની હાલત જોઈને કેસની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહિલાના સંબંધીઓએ જણાવ્યું કે તેને દહેજ માટે પરેશાન કરવામાં આવતી હતી.