કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીમાં પોતપોતાની જીતના દાવાઓ કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગી સહિતની ચૂંટણીલક્ષી મુદ્દાઓને લઇ મેરેથોન ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદીને લઇ થોભો ને રાહ જુઓની રણનીતિ અપનાવવામાં આવે તેવી શકયતા છે. કારણ કે, ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરે ત્યારબાદ કોંગ્રેસ તેના પત્તા ખોલવાની ફિરાકમાં છે, તો ભાજપે પણ ચૂંટણી જાહેરથતાંની સાથે જ તેની વ્યૂહરચના તેજ બનાવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને ખાસ કરીને સ્ક્રીનીંગ કમીટીના પદાધિકારીઓએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવી ઉમેદવારો પસંદગી સહિતના મુદ્દા પર ચૂંટણીલક્ષી મહત્વની કવાયત હાથ ધરી છે. દિલ્હીથી તેડું આવતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના સ્થાનિક નેતાઓ દિલ્હી પહોંચ્યા છે અને સ્ક્રીનીંગ કમીટીના પદાધિકારીઓ સાથે ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પર ઉમેદવારોના નામોની પસંદગી મુદ્દે છેલ્લા બે દિવસથી ચર્ચા વિચારણા ચાલી રહી છે. આજે સતત બીજા દિવસે દિલ્હીમાં સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ, લોકજુવાળ, જાતિવાદના સમીકરણો અને પાટીદાર-દલિત ફેકટર તેમ જ તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની સેનાને કેટલી ટિકિટો કયા ક્ષેત્ર માટે આપવી સહિતના મુદ્દાઓ પર મેરેથોન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ સહિતના પદાધિકારીઓ સાથે ગુજરાત કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, મોહનસિંહ રાઠવા, શૈલેષ પરમાર સહિતના સ્થાનિક નેતાઓએ બેઠક યોજી હતી.સ્ક્રીનીંગ કમીટીના પદાધિકારીઓ અને પ્રદેશ ઇલેકશન કમીટીના હોદ્દેદારો ભેગા મળી ઉમેદવારોના નામોને આખરી ઓપ આપી તે યાદી કેન્દ્રીય ચૂંટણી સમિતિને આખરી મંજૂરીની મ્હોર માટે મોકલી આપે તેવી શકયતા છે. જો કે, રાજયની તાજેતરની પરિસ્થિતિ અને પ્રવર્તતા માહોલને લઇ કોંગ્રેસે તેના ઉમેદવારોની યાદીને લઇ થોભો ને રાહ જુઓની રણનીતિ અપનાવી છે. ભાજપ દ્વારા તેના ઉમેદવારોના નામો જાહેર થાય ત્યારબાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી પણ શકયતા સેવાઇ રહી છે. કોંગ્રેસ આ વખતે તેની તરફેણમાં ઉભા થયેલા લોકજુવાળને લઇ કોઇપણ બાબતમાં કચાશ રાખવા માંગતી નથી.(અનુસંધાન નીચેના પાને)
previous post