દેશના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યું છે કે એક ખેલાડી ખેલ મંત્રી બન્યા છે. એથેન્સ ઓલિમ્પિક્સમાં રજત પદક જીતી ચૂકેલા રાજ્યવર્ધનસિંહ રાઠોડે ખેલ મંત્રાલય સંભાળતા જ કહી દીધુ કે વર્ષો પહેલા મારી સફર આ મંત્રાલયના રિસેપ્શનથી શરૂ થઈ હતી. પદભાર ગ્રહણ કર્યા બાદ રાઠોડે કહ્યું કે વડાપ્રધાનની સાથે સાથે સમગ્ર દેશવાસીઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. ભારતીયોમાં ખુબ ક્ષમતા છે અને ખાસ કરીને યુવાઓમાં, સમગ્ર વિશ્વની અંદર ઉત્તમ પ્રદર્શનની ક્ષમતા ભારતીયોમાં છે.રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું કે દરેક ખેલાડી માટે સન્માન હોવુ જોઈએ અને જે દેશ માટે રમી રહ્યા છે તેમને પૂરેપૂરી સુવિધાઓ મળવી જોઈએ. ખેલ ફક્ત મનોરંજન માટે નથી હોતા. તેને કોલેજ કે શાળા સુધી સિમિત રાખવા જોઈએ નહીં. ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારા નિશાનબાજ રાઠોડે કહ્યું કે ખેલ તમને જીવન કેવી રીતે જીવવું તે શિખવાડે છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો, કોર્પોરેટ, માતા-પિતા અને ખેલ સંસ્થાન બધાએ એકજૂથ થઈને તેને જીવવાની એક પદ્ધતિ ઘડવી પડશે. દરેક રાજ્ય સારામાં સારા ખેલાડીઓને દેશ તરફથી રમવા માટે મોકલે.
રાજ્યવર્ધને કહ્યું કે આ સમગ્ર મંત્રાલયની અંદર જે માહોલ છે તેને બદલવો ખુબ જરૂરી છે. રમતો તરફ આપણું વલણ બદલવું જરૂરી છે. દરેક પ્રકારની સ્કીમોને વધુ સારી બનાવવા માટે કામ કરીશું. તેની ઉણપો દૂર કરીશું. જમીન પર સ્કીમોને યોગ્ય રીતે લાગુ કરીશું. ખેલાડી માટે તેમનું કામ કરવું વધુ સરળ કરીશું. ખેલ મંત્રાલયનું કામ એ જ છે. એક ખેલાડીની તૈયારી માટે અમારી કોશિશ એ રહેશે કે તેને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડીએ.રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે મારી સફર અહીં રિસેપ્શનથી શરૂ થાય છે. આ મંત્રાલયને હું જાણું છું અને એ પણ જાણું છું કે એક ખેલાડી તરીકે શું સમસ્યાઓ થાય છે. મને વિશ્વાસ છે કે આ મંત્રાલયમાં અનેક સારા અધિકારીઓ છે જેના કારણે માત્ર મને જ નહીં પરંતુ અન્ય ખેલાડીઓને પણ સહારો મળ્યો.તેમણે કહ્યું કે એક ખેલાડી ક્યારેય હારતો નથી. હું તે દરેક વસ્તુની શરૂઆત કરીશ જેની જરૂર ભારતીય ખેલાડીઓને છે. આ માટે દરેક ખેલાડી અને દરેક દેશવાસીનો સાથ જોઈએ કારણ કે માહોલ બદલવાનો છે.
previous post