કોરોના વાયરસના કારણે શ્રીલંકા પ્રવાસ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ પણ રદ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે આ માહિતી આપી છે. બોર્ડે કહ્યું છે કે, મેચોના આયોજન માટે પરિસ્થિતિ હજી વ્યાવહારિક નથી. બોર્ડે કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ કોવિડ-૧૯ની ભયાનક સ્થિતિમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડી શકે નહીં.
ભારતીય ટીમને ૨૪ જૂનથી શ્રીલંકામાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમવાની હતી. જ્યારે ઝિમ્બાબ્વેમાં ૨૨ ઓગસ્ટથી ત્રણ વન-ડે મેચની શ્રેણી રમવાની હતી. બોર્ડે જણાવ્યું છે કે, ૧૭ માર્ચે જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પરિસ્થિતિ સંપૂર્ણ પણે યોગ્ય થઈ જશે ત્યારે જ ખેલાડીઓ માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તમામ નિયમોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ પણ રદ થશે તેવી આશા રાખવામાં આવી રહી હતી કેમ કે ભારતીય ખેલાડીઓએ હજી સુધી ટ્રેનિંગ શરૂ કરી નથી. ભારતમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધી આઠ હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે. ખેલાડીઓને ટ્રેનિંગ શરૂ કર્યા બાદ પણ મેચ ફિટનેસ મેળવવા માટે ચારથી છ સપ્તાહનો સમય લાગશે. શ્રીલંકા પ્રવાસ રદ થયો તે અંગે બોર્ડના ટ્રેઝરર ધૂમલે કહ્યું હતુંકે, ટીમે હજી પ્રેક્ટિસ શરૂ કરી નથી અને અમને ખબર નથી કે ઈન્ટરનેશનલ ટ્રાવેલ માટેના પ્રતિબંધો ક્યારે હટાવવામાં આવશે. તેવામાં જૂન-જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ શક્ય નથી.
previous post