Aapnu Gujarat
ब्लॉग

ગુજરાતની પાણીની તંગી દુર કરવાનો એકમાત્ર વિકલ્પ નર્મદા નથી

ગુજરાતના અનેક વિસ્તારો હાલ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનાં કેટલાંક ગામો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે.બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી લોકોને પૂરતું પાણી મળી રહેશે એવું આશ્વાસન આપી રહ્યા છે. મે મહિનો માંડ શરૂ થયો છે ત્યાં તો સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનાં ગામોમાં બેડાં માથે ઊંચકીને બંજર વિસ્તારોમાં પાણી શોધતી મહિલાઓનાં ટોળાં દેખાવાં લાગ્યાં છે.સરહદને અડીને આવેલાં બનાસકાંઠાનાં ગામોમાં સ્થિતિ બદતર છે. ગુજરાતમાં દુષ્કાળ સમી સ્થિતિ મે મહિનાના જ પ્રારંભે સર્જાઈ છે.કચ્છના બન્ની વિસ્તારમાંથી લોકો પોતાનાં ઢોરઢાંખર સાથે હિજરત કરી રહ્યા છે.ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ કહી ચૂક્યા છે કે ઓછા વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના ડૅમોમાં પાણીનો જથ્થો નહિવત્‌ છે.જોકે, રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી કહી ચૂક્યા છે કે ૩૧ જુલાઈ સુધી રાજ્યમાં પીવાની પાણીની અછત નહીં સર્જાય.રાજ્યમાં મોટા ભાગના ડૅમની સ્થિતિ એવી છે કે નર્મદાને બાદ કરતાં કોઈ પણ ડૅમમાંથી લાંબા સમય માટે પાણી આપી શકાય એવી કોઈ જ શક્યતા હાલના તબક્કે દેખાતી નથી.૨૬ એપ્રિલ ૨૦૧૯ સુઘીના પ્રાપ્ત આંકડા પ્રમાણે નર્મદા સહિત ગુજરાતમાં આવેલા ૨૦૪ ડૅમમાં માત્ર ૩૩.૫૫ ટકા પાણી જ ઉપલબ્ધ છે.નર્મદાને બાદ કરીએ તો અન્ય ૨૦૩ ડૅમમાં ૨૩.૧૫ ટકા પાણી જ ઉપલબ્ધ છે.
સૌરાષ્ટ્રના ૧૩૮ ડૅમમાં ૧૦.૫૯ ટકા અને કચ્છના ૨૦ ડૅમમાં ૧૩.૦૪ ટકા પાણી ઉપલબ્ધ છે. કચ્છના ૨૦ પૈકી ૧૭થી વધુ ડૅમ ખાલીખમ છે, એવું સ્થાનિક અખબારો અનેક વખત નોંધી ચૂક્યાં છે.સ્કૉલર અને ભાજપ સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે ફેસબુક પર લખ્યું છે કે માત્ર બે જ જળાશયોમાં પાણીનો જથ્થો ૭૦થી ૯૦ ટકા વચ્ચે છે, જ્યારે ૭૮ જળાશયો તળિયાઝાટક થઈ ગયાં છે.ઉત્તર ગુજરાતના ૧૫ ડૅમની સ્થિતિ પણ સારી નથી. અહીં ૧૬.૨૪ ટકા પાણી જ ઉપલબ્ધ છે.નર્મદા ડૅમમાં ૫૦.૮૯ ટકા પાણી ઉપલબ્ધ છે. આમ છતાં, મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને ખેડામાં પાણીનો કકળાટ છે.રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું, ૩૧ જુલાઈ સુધી લોકોને પાણી પહોંચાડવા માટે સરકાર તૈયાર છે. લોકોએ ડરના માર્યા પાણીનો સંગ્રહ કરવાની જરૂર નથી.તેમણે કહ્યું, પાણીની પરિસ્થિતિ કંટ્રોલ બહાર નથી, પાણી છે પણ ૫૦૦ કિલોમિટર દૂર પહોંચાડવાનો પ્રશ્ન છે.જે તે જિલ્લાની જરૂરિયાત પ્રમાણે સૌને પાણી મળી રહે એ માટે કલેક્ટરોને પણ છૂટો દોર આપવામાં આવ્યો છે.જરૂર પ્રમાણે ટૅન્કરની મદદથી તંત્ર પાણી પહોંચાડવા તૈયાર હોવાનું પણ રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીએ બાંયધરી આપી હતી કે ૩૧ જુલાઈ સુધી ગુજરાતમાં પીવાના પાણીની કોઈ જ સમસ્યા સર્જાશે નહીં.રાજ્યભરમાં ૩૧ જુલાઈ સુધી પીવાનું પાણી પહોંચાડવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે પીવાના પાણી માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનાં ગામોમાં લોકો પાણી માટે વલખાં મારે છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે.ડિસેમ્બર ૨૦૧૮માં ગુજરાતની મુખ્ય વેટલૅન્ડમાં ગણાતું અમદાવાદ પાસેનું નળ સરોવર સુકાઈ ગયું હતું અને ૧૨૦.૮૨ ચોરસ કિલોમિટરનો વિસ્તાર મેદાનમાં ફેરવાઈ ગયો હતો.ગુજરાતનાં સરોવરો, ડૅમ, નદીઓ, તળાવોનાં તળિયાં દેખાઈ રહ્યાં છે અને ક્યાંક તો નદીઓના પટ સાવ કોરા છે.ઓછા વરસાદના કારણે ખેતી માટે સિંચાઈના પાણીની અછત છેલ્લા થોડા મહિનાઓથી ચર્ચામાં છે, પણ હવે પીવાના પાણીની ચિંતા સતાવી રહી છે.દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પીવાના પાણીની અછતના અહેવાલો સ્થાનિક અખબારમાં પ્રકાશિત થયા હતા.એ જ રીતે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને નસવાડી તાલુકાનાં કેટલાંક ગામોમાં પાણીની તંગી છે.વૉટર હાર્વેસ્ટિન્ગના ક્ષેત્રે કામ કરતાં અને ઉત્થાન સંસ્થાના સ્થાપક નફિસા બારોટ કહે છે કે આ વર્ષે પણ કપરી પરિસ્થિતિ છે.તેઓ કહે છે, ભાવનગરનાં ગામોમાં અઠવાડિયામાં એક વાર કે બે વાર પાણી આવે છે, ક્યાંક તો પંદર દિવસે પાણી આવે છે. એ પણ માંડ ૪૦ મિનિટ માટે આવે છે અને એમાંથી જ બધાએ પાણી ભરવાનું હોય એવી પણ દશા છે.ભાવનગર જિલ્લાનાં કેટલાંક ગામોમાં તો મહિલાઓ અને બાળકો ૩થી ૪ કિલોમિટર દૂર પાણી શોધવા જાય છે અને ઘોઘામાં તો શાળા બંધ કરવી પડે એવી સ્થિતિ છે.ગયા વર્ષે એપ્રિલથી જુલાઈમાં ૪ હજાર પાણીનાં ટૅન્કરો સરકારે દોડાવવા પડ્યાં હતાં. આ વર્ષે પણ કપરી પરિસ્થિતિ છે, જળસંકટ માથે ઊભું જ છે.ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે ૩૦ એપ્રિલે યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ૫૦૦ ગામોને ટૅન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં જરૂર પડશે તો વધુ ગામોમાં ટૅન્કર મોકલાશે.મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લાઓમાં અધિકારીઓને અત્યારથી જ વ્યવસ્થા કરી લેવા કહેવામાં આવ્યું છે, જેથી જરૂર પડ્યે ટૅન્કરો થકી વધારે પાણી પહોંચાડી શકાય.ઉનાળા દરમિયાન શહેરોમાં પણ ખાનગી ટૅન્કરોની બોલબાલા વધી જતી હોય છે.વડોદરા સ્થિત સેન્ટર ફોર કલ્ચર ઍન્ડ ડેવલપમૅન્ટના રિસર્ચ કન્સલ્ટન્ટ ડૉ. જયેશ શાહે વડોદરામાં પાણીનાં ટૅન્કરના પ્રમાણ વિશે અભ્યાસ કર્યો છે.આ અભ્યાસ પ્રમાણે માત્ર વડોદરામાં જ વર્ષે સરેરાશ ૪૦ હજાર ફાયર બ્રિગેડનાં ટૅન્કર દ્વારા અને આશરે ૨ લાખ ૭૫ હજાર ખાનગી ટૅન્કરોનો પાણીના સ્રોત તરીકે ઉપયોગ થાય છે.અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સ્થિતિ વિકટ હોવાનું જાણવા મળે છે.મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પાણીની અછતનાં કારણો અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ક્ષમતા વધારવા માટે જળાશયોને ઊંડા કરવામાં આવ્યાં હતાં, પણ આ વખતે વરસાદ ઓછો પડ્યો હોવાથી જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી.આ મામલે જયનારાયણ વ્યાસનું કહેવું છે કે જેટલાં ઘનમીટર માટીકામ થયું એટલાં ઘનમીટર જળસંગ્રહની શક્તિ ઊભી થઈ એમ ગણી ’હરખ હવે તો હિંદુસ્તાન’ની જાહેરાતો વ્યર્થ છે.૧૯૭૦માં સ્થાનિક સ્રોતોને વિકસાવવાના પ્રયાસ હતા, ૧૯૯૦-૯૯માં પ્રયાસો બદલાતા ગયા પછી બલ્ક વૉટર સપ્લાય સુધી પહોંચ્યા.આટલાં વર્ષોમાં સ્થાનિક સ્રોતોને જાળવવાના અને વધારવાના પ્રયાસો કરવાની જરૂર હતી, પણ એના બદલે મોટા જથ્થામાં પાણીને પહોંચાડવાની યોજનાઓ પર જ કામ થયું. જેના પગલે સ્થાનિક સ્રોતોને જાળવી નથી શકાયા.જયનારાયણ વ્યાસ નોંધે છે, નર્મદાનું પાણી મધ્ય ગુજરાત અને કડી થઈ સૌરાષ્ટ્રમાં જાય, તે ૯૨ મિટર પમ્પિંગ કરી રાજકોટ પહોંચાડે. રકાબી જેવા આજી ડૅમમાંથી પાણીનું બાષ્પીભવન થઈને ઊડી જવાની ક્ષમતા ગુજરાતમાં સૌથી વધારે છે, તેમાં આ પાણી નાખીએ એટલે લગભગ ૪૦થી ૫૦ ટકા પાણીનું બાષ્પીભવન થઈ જાય છે.સૌરાષ્ટ્રનું લાંબા ગાળાનું પાણીનું આયોજન, સિંચાઈ તેમજ પીવા માટે પ્રામાણિક અભ્યાસ અને વપરાશ માટે ખૂબ સંયમ જરૂરી છે.કચ્છમાં નર્મદાના પાણી પહોંચાડવા વિશે તેઓ લખે છે કે કચ્છ અને નર્મદાનો ગ્રહમેળ ક્યારેય પૂરેપૂરો સધાયો નથી. ૧૦૦ કરતાં વધારે વખત તૂટી ગયેલી કૅનાલોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.નર્મદા યોજના નામે એવો દાવો કરાતો હતો કે ગુજરાતમાં દુષ્કાળ હવે ભૂતકાળ થઈ જશે.મંગળવારની પત્રકાર પરિષદમાં પણ મુખ્ય મંત્રીએ એવો દાવો કર્યો હતો કે નર્મદાનું પાણી અછતમાં પાણીની પૂર્તિ કરશે.વિજય રૂપાણીએ કહ્યું હતું, સૌરાષ્ટ્રના ડૅમો લગભગ ખાલી જ છે પણ ત્યાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે.સ્પષ્ટ વર્તાય છે કે ગુજરાતના પાણીની સમસ્યાનો ઉકેલ મહદંશે નર્મદા યોજના કેન્દ્રીત થઈ રહ્યો છે, પણ એ કેટલા અંશે યોગ્ય છે?જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧૩ શહેરો અને ૧૪ હજાર કરતાં વધારે ગામડાં નર્મદાનું પાણી પીવે છે.નર્મદા યોજનાના કારણે પીવાના પાણીની તંગી કંઈક હળવી થઈ છે, પણ તે સંપૂર્ણ ઉકેલ નથી.તેમના બ્લૉગમાં લખે છે કે નર્મદા યોજના ગુજરાત માટે અખૂટ પાણીનો ભંડાર છે એ વાત મગજમાં હોય તો કાઢી નાખવી પડે.નર્મદા યોજનાના પાણી અંગે ગણતરી કરતાં તેમણે લખ્યું છે, નર્મદા યોજનામાં આપણે ભાગે ૯ મિલિયન એકર ફીટ પાણી આવ્યું છે. ૪૫૫ ફૂટ એટલે કે પૂરેપૂરો બંધ ભરાય તો માત્ર ૪.૭ મિલિયન એકર ફીટ પાણી જ મળે.બાકીનું બારગી, માહેશ્વર જેવા મધ્ય પ્રદેશમાં વીજળી માટે બાંધેલા બંધમાંથી કટકે-કટકે આખું વરસ પાણી આવતું રહે તો જ આપણને ૯ મિલિયન એકર ફીટ પાણી મળે.નર્મદાના પાણીનો ક્યા અને કેટલા પ્રમાણમાં ઉપયોગ થાય છે એ વિશે વ્યાસ લખે છે, ૪.૭ મિલિયન ફીટમાંથી ૧ મિલિયન એકર ફીટ પાણી તો ઉદ્યોગો અને પીવા માટે અનામત છે.ગુજરાતમાં ૧૩ શહેરો અને ૧૪ હજાર કરતાં વધારે ગામડાં નર્મદાનું પાણી પીવે છે, માટે પીવાના પાણીની તંગી કંઈક હળવી છે.બાકી રહેલાં ૩.૭ મિલિયન એકર ફીટ પાણીમાંથી ખેતી માટે અને તળાવો ભરવા કે બીજા કોઈ આયામો માટે વાપરવાનું છે.કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભવિષ્યમાં નર્મદાના પાણી પહોંચાડવા વિશે ભવિષ્યની સ્થિતિ વિશે પણ વ્યાસે લખ્યું છે.આવનાર સમયમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એ ત્રણેય નર્મદા યોજનાનાં મુદ્દે સામસામે મેદાનમાં આવી જાય તે ખૂબ જ અણગમતું લાગે છે, છતાંય ક્યાંક અમંગળનાં એંધાણ આજે દેખાય છે.મનમાં શંકા પાકી થતી જાય છે કે નર્મદા યોજના કદાચ ગુજરાતનાં વિભાજન માટેનું એક મોટું પરિબળ બનીને ઊભી રહેશે.ગુજરાતનું જળસંકટ વિકટ સમસ્યા બની રહ્યું છે અને બનવાનું છે ત્યારે એ ભ્રમણાથી બહાર આવીએ કે નર્મદા બધા પ્રશ્નોનો એકમાત્ર ઈલાજ છે અને આપણે એ સાધી લીધો છે.

Related posts

કડવાશ ભૂલી આપસી સંબંધોમાં મીઠાશ વધારવાનો મોકો આપતું પર્વ : દિવાળી

aapnugujarat

ट्रंप का हास्यास्पद दावा

aapnugujarat

નાણાકીય બાબતમાં કોઈ તમારો ગેરફાયદો ન ઉઠાવી જાય તે જુઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1