ગુરુગ્રામ ખાતે યોજાયેલી વિહિપની ચૂંટણીમાં ડો.પ્રવીણ તોગડિયાની હકાલપટ્ટી બાદ આજે ડો.તોગડિયાએ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ વણીકર ભવન ખાતે પૂજા વિધિ બાદ વિશ્વ હિન્દુ પરિષદના હજારો કાર્યકરો સાથે મુલાકાત અને ચર્ચા કરી હતી. વિહિપ કાર્યાલય ખાતે આજે રાજયભરમાંથી હજારો કાર્યકરો ડો.તોગડિયાના સમર્થનમાં ઉમટી આવ્યા હતા. દરમ્યાન ડો.પ્રવીણ તોગડિયાએ હવે તેમના બાગી તેવર બતાવતાં આજે જણાવ્યું હતું કે, ૨૦૧૪ની ચૂંટણીમાં હિન્દુઓના નામે મત લઈને છેતરપિંડી કરવામાં આવી છે. હિન્દુઓની માંગને લઈને તેઓ તા.૧૭મી એપ્રિલ, મંગળવારથી આમરણાંત ઉપવાસ પર ઉતરશે. રામમંદિર, ગૌ હત્યા રોકવા અને કોમન સિવિલ કોડ મુદ્દે નરેન્દ્રભાઇને વચન પાલન કરાવવા હું સત્યાગ્રહ કરવા જઇ રહ્યો છું. અમે તો દેશના કરોડો હિન્દુઓના હિત માટે લડતા રહીશું. હવે નરેન્દ્રભાઇને નક્કી કરવાનું છે કે, તેઓ હિન્દુઓ સાથે છે કે નહી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી મારા પર દબાણ હતું કે, રામ મંદિર બંનાવવાનો મુદ્દો ઉઠાવવાનું બંધ કરું નહી તો વિહિપ છોડું. પ્રશ્ન સંસ્થાનો નથી કરોડો જનતાની ઈચ્છાનો છે, સરકારે પ્રજાને આપેલ વાયદા પુરા કર્યા નથી. સત્તામાં આવ્યા પછી વચન પાળ્યા નથી. ગૌ હત્યા, રામ મંદિર અને ખેડૂતો મુદ્દે હું નરેન્દ્ર મોદીને આગ્રહ કરી રહ્યો છું.. કે સમસ્યાનો અંત લાવે. ડો.તોગડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ વિહિપમાં હવે નથી પરંતુ હજારો કાર્યકર્તાઓ અને કરોડો હિન્દુઓ તેમની સાથે છે. તેમને તમિલનાડુ ઓરિસ્સા અને સમગ્ર ભારતમાંથી લોકોનો સાથ સહકાર મળી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના નવા પધાધિકારીને ગૌ હત્યા, ખેડૂતો દેવા માફ અને રામ મંદિરનો વાયદો પૂરો કરાવડાવે તે માટે અનુરોધ કરીશ. સત્તામાં મદમસ્ત લોકો મારો અવાજ દબાવી રહ્યા છે પણ કરોડો કાર્યકર્તાઓ મારી સાથે છે.ડો.તોગડિયાએ મોદી પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈને વચન પાલન કરાવવા માટે હું સત્યાગ્રહ કરવા જઈ રહ્યો છું. નરેન્દ્ર મોદીની પોલીસે ૩૦૦ હિંદુઓને મારી નાખ્યા. મેં નરેન્દ્ર મોદીની આંખમાં ક્યારેય આંસુ નથી જોયા. કારસેવકોના બલિદાનથી ભાજપને સતા મળી અને હવે સત્તામાં આવ્યા બાદ હિન્દુઓને આપેલા વચનો ભૂલી ગયા. એટલું જ નહી, સત્તામાં આવ્યા બાદ ગૌરક્ષકોને હત્યારા કહેવામાં આવ્યા. કાશ્મીરમાં સેના પર પથ્થરમારો કરનાર ૯ હજાર રાષ્ટ્રદ્રોહી તત્વો સામે કેસ પાછા ખેંચવામાં આવ્યા. મારા મોટા ભાઈ નરેન્દ્ર ભાઈથી મારો મોહભંગ ચાર વર્ષથી થયો છે. ૨૦૧૯માં નરેન્દ્ર મોદીએ હવે નક્કી કરવાનું છે કે તેમને હિંદુઓનો સાથ લેવાનો છે કે નહીં.
previous post