હકાલપટ્ટી કરવામાં આવેલા આમ આદમી પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ આજે પાર્ટી લીડર અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે જ્યાં સુધી તેમની પાસેથી પ્રશ્નોના જવાબ મળશે નહીં ત્યાં સુધી તે ભૂખ હડતાળ ઉપર રહેશે. જુદા જુદા વિદેશ પ્રવાસ કરવા માટે તેમને ફંડ ક્યાંથી મળી રહ્યા હતા તે અંગે જ્યાં સુધી કેજરીવાલ જવાબ આપશે નહીં ત્યાં સુધી તેઓ ભૂખ હડતાળ ઉપર રહેશે.
બે દિવસમાં બીજા પત્રમાં કપિલ મિશ્રાએ કહ્યું છે કે કેજરીવાલ હંમેશા કહેતા રહ્યા છે કે ચૂંટણી લડવા માટે પણ એએપી પાસે પૈસા નથી. આવી સ્થિતિમાં વિદેશ પ્રવાસ માટે આટલી જંગી રકમ ક્યાંથી આવી છે તેવો પ્રશ્ન મિશ્રાએ કર્યો છે. ટ્વીટર ઉપર તેમનો બીજો પત્ર પણ રજુ કરી દેવામાં આવ્યા છે. મિશ્રાએ સંજયસિંહ, આશિષ ખેતાન, સત્યેન્દ્ર જૈન, રાઘવ ચઢ્ઢા અને બ્રિજેશ પાઠક દ્વારા છેલ્લા બે વર્ષમાં વિદેશની કરવામાં આવેલી યાત્રાઓના સંદર્ભમાં વાત કરી છે. મિશ્રાને હાલમાં જ એએપીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અગાઉ મિશ્રાએ એવો આક્ષેપ કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે કરોડ રૂપિયા લીધા હતા. આજે તેમણે ફરી કહ્યું હતું કે એએપીના નેતાઓના વિદેશ પ્રવાસની વિગતોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ગતિવિધિ સામેલ રહી છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોએ તેમને કહ્યું હતું કે જો આની વિગતો જાહેર કરવામાં આવશે તો એકપણ ક્ષણે સત્તામાં રહેવાની તક એએપીને આપવામાં આવશે નહીં. મિશ્રાએ એમ પણ કહ્યું છે કે તેઓ ભાજપના કોઈ એજન્ટ તરીકે નથી. તેમની માંગણી બિલકુલ નાનકડી રહી છે. જો કોઈ વાત છુપાવવામાં આવી રહી નથી તો જવાબ આપવામાં પાંચ મિનિટનો સમય લાગી શકે છે. ગઈકાલે પણ મિશ્રાએ એક પત્ર લખીને તેમની સામે ચૂંટણી લડવા એએપીના વડાને પડકાર ફેંક્યો હતો.
previous post
next post