અત્યારના આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધાએ લોકોના દિલોદિમાગમાં ઘર કરી ગઈ છે. મહિલાઓ અને પુરુષોને ડામ આપવાના અનેક કિસ્સાઓ ગુજરાતમાં છાસવારે બનતા રહે છે. પરંતુ રાજકોટમાં હચમચાવી મુકે એવી ઘટના બની છે. રાજકોટ તાબેના ખાકરાબેલા ગામમાં વાડીમાં રહીને મજૂરી કામ કરતા શ્રમિક આદિવાસી પરિવારના ઘરે ચાર દિવસ પહેલા અવતરેલો પુત્ર શૌચક્રિયા કરતો ન હોવાથી બાળકની દર્દીએ જ અંધશ્રદ્ધાથી પ્રેરાઇ નવજાત બાળકના પેટના ભાગે ડામ આપ્યા હતા. આ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના પડધરી ખાખરાબેલા ગામમાં ખેતરમાં રહેતા મધ્ય પ્રદેશના ઇંદર શિંગળાની પત્ની લક્ષ્મીએ પુત્રને જન્મ આપ્યો હતો. ચાર દિવસ બાદ પણ બાળક મળ ન કરતો હોવાથી ઇંદરની માતા ગજરાએ લોખંડના સળિયો ગરમ કરીને બાળકના પેટે ડામ આપ્યા હતા. દાઝેલા બાળકને પ્રથમ પડધરી અને વધુ સાવરા અર્થે રાજકોટ સિવિલમાં બાળ વિભાગમાં લવાયો હતો. તબીબોની તપાસમાં બાળકને શૌચમાર્ગ જ ન હોવાથી શૌચક્રિયા કરી શકતો ન હતો. જેથી તબીબો પણ શસ્ત્રક્રિયા કરવી કે નહીં એના માટે મુંઝવણમાં મૂકાયા છે.
વધુ મળતી માહિતી પ્રમાણે બાળકની દાદીએ કબુલાત કરી હતી કે, અમારા વતનમાં બાળકને આવી કોઇ તકલિફ થાય તો ગેસ ચડ્યો હોઇ શકે એવું માનીને ડામ દેવામાં આવે તો શૌચક્રિયા રાબેતા મુજબ થઇ જતી હોવાની માન્યતા લઇને પોતે બાળકને ડામ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના વતની સિંગલા પરિવારની પુત્રવધૂ લક્ષ્મી ઇન્દરસિંગ સિંગલાએ ચાર દિવસ પૂર્વે પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર જન્મથી પરપ્રાંતીય પરિવારમા ખુશી ફરી વળી હતી. હોસ્પિટલમાંથી રજા અપાતા લક્ષ્મી અને તેના નવજાત પુત્રને ઘરે લઇ જવાયા હતા. જન્મના ચાર દિવસ બાદ પણ નવજાત શિશુએ શૌચક્રિયા નહીં કરતાં બાળકને પેટમાં ગેસ ભરાયાનું સિંગલા પરિવારે માની લીધું હતું.