ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જે કંઇપણ રહ્યા હોય છતાં આવતીકાલથી શરૂ થતાં સંસદના સત્રમાં કોંગ્રેસ આક્રમક વલણ અપનાવવા માટે તૈયાર છે. પાર્ટીની મહિલા પાંખના પ્રમુખ અને સાંસદ સુષ્મિતા દેવે કહ્યું છે કે, ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર અમે ભાજપ અને મોદી સરકારને ભીંસમાં લેવા માટે તૈયાર છે. નિરવ મોદી લૂંટ કર ભાગ ગયા જેવા સુત્રોચ્ચાર કરવામાં આવશે. પાર્ટીના મિડિયા વિભાગના પ્રભારી રણદીપ સૂરજેવાલાએ પણ આવી જ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના એક અન્ય વરિષ્ઠ સાંસદે કહ્યું છે કે, પંજાબ નેશનલ બેંકની સાથે છેતરપિંડી સરકારની જાણકારી હેઠળ થઇ છે. લોકસભામાં જુદા જુદા નારા લગાવવામાં આવશે. દેશ કા ચોકીદાર સો ગયા નિરવ મોદી લૂંટકર ભાગ ગયાના નારા લગાવવામાં આવશે. બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ લાંબી રજા બાદ ફરી શરૂ થઇ રહેલા સંસદના સત્ર દરમિયાન પાર્ટીની રણનીતિ ખુબ જ સંવેદનશીલ છે. પાર્ટી દ્વારા રોજગારી, ખેડૂતોની દુર્દશા, ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને લઇને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પોકળ વચનોનો મુદ્દો ઉઠાવવામાં આવશે. કોંગ્રેસના નેતાઓના વલણને જોતા સ્પષ્ટ લાગે છે કે, સંસદ સત્ર જોરદાર તોફાની બનશે. પાર્ટીના મિડિયા વિભાગના પ્રભારી સુરજેવાલાએ કહ્યું છે કે, મોદી સરકાર રોજગારના મોરચે બિલકુલ ફ્લોપ રહી છે. કર્મચારી પસંદગી પંચ ભરતી પરીક્ષામાં કૌભાંડ સપાટી ઉપર આવ્યા છે. મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડની જેમ જ અન્ય કૌભાંડો થઇ રહ્યા છે. સુરજેવાલાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, લોઅર ડિવિઝનલ ક્લાર્ક, સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી અને સી, સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર સહિત ૧૫-૨૦ મંત્રાલયોના વિભાગો માટે ૧૨-૪૦ હજાર સીટો પર યુવાઓની ભરતી પ્રક્રિયાને લઇને કૌભાંડો થઇ ચુક્યા છે. આના માટે આશરે એક કરોડ યુવાનો અરજી કરે છે. કઠોર પરીક્ષાઓ આપે છે. પરીક્ષાઓમાં ભાગ લેનારાઓનો આક્ષેપ છે કે, આની પાછળ ભાજપ સરકાર મોટુ નેટવર્ક ચલાવી રહી છે. પ્રશ્નપત્ર લીક કરીને તેના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી ૩૦-૪૦ લાખ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ પાર્ટી આંતરિક સુરક્ષા અને આતંકવાદી હુમલાઓના મુદ્દાઓને પણ ચગાવવા માટે તૈયાર છે.
સુરજેવાલાએ સંકેત આપ્યો છે કે, ખેડૂતોના મુદ્દે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. ખેડૂતોની દુર્દશા જોવા મળી રહી છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને લઇને પણ કેન્દ્ર સરકાર ઉદાસીન છે.