કેપટાઉન ખાતે આવતીકાલે છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચ રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શરૂઆતની બે મેચો જીતીને શ્રેણીમાં ૨-૦ની લીડ ધરાવે છે. વિરાટ સેના વિજયરથને આગળ વધારવા સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય ટીમને રાહત એ છે કે, ૩-ડી એટલે કે એબી ડિવિલિયર્સ, ડીકોક અને ડુપ્લેસિસ આફ્રિકન ટીમમાંથી હાર થઇ ગયા છે જેથી ટીમને જીતવાની સરળ તક રહેલી છે. ડિવિલિયર્સ પાંચ વનડે મેચોમાં રમનાર નથી. ડુ પ્લેસીસ સમગ્ર શ્રેણીમાં રમનાર નથી. જ્યારે ડીકોક પણ ઇજાગ્રસ્ત થઇ ગયો છે. વિરાટ કોહલી ધરખમ ફોર્મમાં ચાલી રહ્યો છે છતાં પણ ભારતીય ટીમને સાવધાન રહેવાની જરૂર પડશે. કારણ કે, ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં આફ્રિકાએ ભારત ઉપર જીત મેળવી હતી. રહાણે, વિરાટ કોહલી, શિખર ધવન ફોર્મ મેળવી ચુક્યા છે પરંતુ રોહિત શર્મા પાસેથી અપેક્ષા મુજબની બેટિંગ હજુ જોવા મળી નથી. બીજી બાજુ ત્રણ ડીની ગેરહાજરીમાં આફ્રીકી બેટ્સમેનોનો ભાર હાસિમ અમલા, ડ્યુમિની અને ડેવિડ મિલર રહેશે. આ ત્રણેય હજુ સુધી ફ્લોપ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવન ૫૬ બોલમાં નવ ચોગ્ગા સાથે ૫૧ રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે વિરાટ કોહલી ૫૦ બોલમાં ૪૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. પ્રથમ વિકેટ ભારતે ૨૬ રને ગુમાવી દીધી બાદ બીજી કોઇ વિકેટ પડી ન હતી. મેન ઓફ દ મેચ તરીકે યુજવેન્દ્ર ચહેલની પસંદગી કરવામાં આવી હતી. ચહેલે તરખાટ મચાવીને ૨૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. કુલદીપે ૨૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. વિકેટની દ્રષ્ટિએ દક્ષિણ આફ્રિકાની સામે ભારતની આ સૌથી મોટી જીત હતી. ભારતે શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે.
previous post
next post