મુંબઇના અત્યંત પ્રખ્યાત ‘લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ’ને બૃહદમુંબઇ મહાનગરપાલિકાએ રોડને નુકસાન પહોંચાડવા બદલ ૪.૮૬ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો કે આ જ રીતે ગત વર્ષે પણ મંડળને ૪.૫ લાખનો દંડ થયો હતો અને આ દંડ તેઓએ ભરી દીધો હતો. બીએમસીનું કહેવું છે કે સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા રોડ પર ૨૦૦થી વધુ ખાડા કરાયા જેના લીધે રોડને નુકસાન થયું.એફ-સાઉથ વોર્ડના એક અધિકારીના જણાવ્યાં મુજબ મંડળો દંડ ભરે તેની રાહ જોયા વગર અમે આ ખાડા પૂરવાનું શરૂ કરી દીધુ છે.
મંડળો દ્વારા ખાડાવાળા થયેલા રોડની મરામતનું કામ એક અઠવાડિયામાં કરી દેવામાં આવશે. સંપૂર્ણ પણે ૨૪ વોર્ડમાં ગણેશ પંડાલોના કારણે કેટલું નુકસાન થયું તેની આકારણી કરવામાં હજુ એક અઠવાડિયા જેટલો સમય લાગે તેમ છે. બીએમસીએ દરેક ખાડા માટે ૨૦૦૦ રૂપિયાનો દંડ નક્કી કર્યો છે.આ બાજુ લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પ્રમુખ બાલાસાહેબ કામ્બલેએ જણાવ્યું કે તેમને હજુ સુધી બીએમસીની નોટિસ મળી નથી. અમારા પંડાલ દ્વારા જો રોડને નુકસાન થયુ હશે તો ચોક્સપણે નુકસાન ભરપાઈ કરીશું. પરંતુ આ વખતે સાવચેતી રખાઈ હતી અને જે પંડાલના કારણે જે પણ ખાડા પડ્યા હતાં તેને પૂરી દેવાયા હતાં. ૨૦૦થી વધુ ખાડા અમારા પંડાલના કારણે પડ્યા હોય તે વાત અશક્ય છે. એમાં પણ આ વખતે તો પંડાલ ગ્રાઉન્ડમાં બનાવવામાં આવ્યો હતો. લાલબાગચા રાજા માટે સૌથી લાંબી લાઈન હોય છે. આથી બીએમસીએ ધારી લીધુ કે જે પણ ખાડા પડ્યા છે તે લાલબાગચા રાજાના પંડાલથી પડ્યા છે.
previous post