અંકુશરેખા નજીક બે ભારતીય સૈનિકોના મૃતદેહને ક્ષતવિક્ષત કરી દેવાના મામલામાં ભારત ભારે લાલઘૂમ થયેલું છે. ભારતે આજે આ મામલાને અતિગંભીરતા સાથે લઇને પાકિસ્તાન હાઈકમિશનર અબ્દુલ બાસિતને બોલાવ્યા હતા અને ભારતીય જવાનોના મૃતદેહ સાથે અમાનવીય કૃત્ય કરવા માટે જવાબદાર પાકિસ્તાની સૈનિકો સામે કઠોર પગલા લેવાની સ્પષ્ટ માંગણી કરી હતી. પત્રકાર પરિષદને સંબોધતા વિદેશમંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ કહ્યું હતું કે,વિદેશ સચિવ એસ જયશંકર અને પાકિસ્તાની હાઇકમિશનર અબ્દુલ બાસિત વચ્ચે નિખાલસ ચર્ચા થઇ છે. ભારતે પોતાની નારાજગી બાસિત સમક્ષ રજૂ કરી હતી. ભારતના બે ભારતીય જવાનોના મૃતદેહ સાથે અમાનવીય કૃત્યને લઇને જે નારાજગી લોકોમાં દેખાઈ રહી છેતે અંગે પણ બાસિતને માહિતી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પહેલી મેના દિવસે બે ભારતીય જવાનોના મૃતદેહ સાથે અમાનવીય કૃત્ય કરાયું હતું. ભારતીય જવાનોના શરીરના ઘણા અંગ કાપી દેવામાં આવ્યા હતા. બેઠક અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમારા વિદેશ સચિવે બાસિતને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, બટ્ટાલ સેક્ટરમાં પાકિસ્તાની ચોકીઓ તરફથી કવર ફાયરિંગ આપવામાં આવ્યા બાદ પાકિસ્તાની જવાનો ભારતીય બાજુમાં ઘુસી ગયા હતા અને બે જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. જયશંકરે માંગ કરી હતી કે, પાકિસ્તાન દ્વારા તેના સૈનિકો અને આ ઘૃણાસ્પદ કૃત્ય માટે જવાબદાર કમાન્ડરો સામે તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે. જા કે, ભારતીય અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે, બાસિતે આ વાતચીત દરમિયાન અમાનવીય કૃત્યમાં પાકિસ્તાની સેનાની સંડોવણી હોવાનો ફરીવાર ઇન્કાર કર્યો હતો જા કે, ખાતરી આપી હતી કે, ભારતની ચિંતાથી પાકિસ્તાન સરકારને વાકેફ કરવામાં આવશે. ભારતીય સેનાના નાયબ સુબેદાર પરમજીતસિંહ અને બીએસએફના હેડકોન્સ્ટેબલ પ્રેમસાગર શહીદ થયા હતા.
previous post