સ્વ. પ્રવિણ રાષ્ટ્રપાલની પ્રથમ પુણ્યતિથિનું આયોજન મૂકનાયક સમતા સંગઠન દ્વારા અમદાવાદ ખાતે મેડિકલ એસોસિએશન હૉલમાં યોજાઈ હતી. આ સભાનાં અધ્યક્ષ સ્થાને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા શંકરસિંહ વાઘેલા હતાં અને અતિથિ વિશેષ તરીકે કેન્દ્રનાં પૂર્વ મંત્રી યોગેન્દ્ર મકવાણા, પૂર્વ સાંસદ રાજુ પરમાર, ધંધુકાનાં પૂર્વ સીનિયર સાંસદ રતિલાલ વર્મા, ધારાસભ્ય શૈલેષ પરમાર, ધારાસભ્ય મણિભાઈ વાઘેલા, ગુજરાતનાં પૂર્વ મંત્રી ડૉ. દિનેશ પરમાર, સામાજિક કાર્યકર્તા પી.કે.વાલેરા, ‘આપણું ગુજરાત’ દૈનિકનાં તંત્રી દેવેન વર્મા અને રાજ્યની જુદી જુદી સંસ્થાઓનાં આગેવાનો, સામાજિક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહી સ્વ. પ્રવિણ રાષ્ટ્રપાલ દ્વારા કરવામાં આવેલાં સમાજપયોગી કાર્યો અને લોકસભા અને રાજ્યસભામાં તેમનાં દ્વાર ઉઠાવવામાં આવેલાં જુદાં જુદાં પ્રશ્નોને યાદ કરીને તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સંસ્થાનાં પ્રમુખ એમ.પી.લેઉઆ, મંત્રી નરેન્દ્ર વાઘેલા તથા ટ્રસ્ટી મંડળનાં સભ્યશ્રીઓએ ઉપસ્થિત મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા શંકરસિંહ વાઘેલાએ ઉપસ્થિત લોકોને આહ્વાન કર્યું હતું કે, અહીંયા બેઠેલાં ઉદ્યોગપતિઓ, આગેવાનોએ સમાજનાં ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરીને તેઓને ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી શકે તે માટે સ્વ. પ્રવિણ રાષ્ટ્રપાલની યાદમાં તેમની આવકમાંથી એક ભંડોળ ઉભું કરીને ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવું જોઈએ. ઉપરાંત ઉપસ્થિત લોકોએ પોતપોતાનાં સ્વ. પ્રવિણ રાષ્ટ્રપાલ સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.અંતમાં પ્રવિણ રાષ્ટ્રપાલની પરિવારજનોએ પણ સૌનો આભાર માન્યો હતો.