મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર નગરી-આણંદથી રાજયમાં પ્રત્યેક ગરીબને પોતાનું ઘર આપવાનો સંકલ્પ સાકાર કરતી સંવેદનાસભર પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના રાજયવ્યાપી અમલીકરણનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે બીપીએલ કે એપીએલના ભેદ વગર ઘરવિહોણા તમામને ઘર મળે અને ગુજરાતમાં દરેક પરિવારનું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. રાજય સરકારે ગરીબોને મકાન, ઓટલો અને રોટલો આપવાની સુવ્યવસ્થાઓ કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે મધ્ય ગુજરાતના આણંદથી અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના ૧૪૦૦૦ થી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના આવાસ બાધકામ મંજૂરી પત્રો અને આવાસોના મોડેલ્સનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામવિકાસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ પંચસ્થંભ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.
આ અવસરે આવાસ થીમ આધારિત દસ્તાવેજી ચિત્રનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ વિવિધ પ્રદર્શનને વિશાળ સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું. પ્રદર્શનમાં વિવિધ પ્રકારના આવાસના મોડેલનો સ્ટોલ ઉપસ્થિતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મુખ્યમંત્રીશ્રીનું આણંદ જિલ્લાના વિવિધ સમાજ સંગઠનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબો માટે આજનો દિવસ સોનાનો દિવસ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી અને દિશાદર્શન હેઠળ ઘણા વર્ષો પછી દેશમાં અને રાજયમાં સાચા અર્થમાં ગરીબ કલ્યાણની કામગીરી શરૂ થઇ છે. પીએવાય(જી)ના લાભાર્થીઓના ખાતામાં પહેલા હપ્તાની રૂા.૪૦ હજારની રકમ સીધેસીધી જમા થઇ જાય એવી વ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે આ યોજના હેઠળ લાભાર્થીઓના બેંક ખાતામાં મકાન સહાયની રકમ સંપૂર્ણ પારદર્શકતા સાથે તબકકાવાર જમા થશે અને વચેટીયાઓને કટકી-બટકીની કોઇ તક નહીં મળે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ યોજના હેઠળ ગુણવત્તાસભર મકાનો બને તેની ખાતરી માટે લાભાર્થીઓ જાતે જ મકાન બનાવે, તેમને ગમે એવું મકાન બનાવે એવી જોગવાઇ રાખવામાં આવી છે. ગુજરાત સરકાર ગરીબો, પીડિતો અને શોષીતોની હામી છે, તેમની તમામ જરૂરીયાતો સંતોષવા કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સરકાર ગરીબોની બેલી અને નોધારાઓનો આધાર છે. તેમણે સરદાર સાહેબ, વીર વિઠ્ઠલભાઇ પટેલ, ત્રિભોવનદાસ પટેલ તેમજ આણંદ જિલ્લાના સપૂતોને આદરપૂર્વક ભાવાંજલિ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સરકારી ક્ષેત્રની બહાર ૧૦ લાખ યુવાનોને રોજગારી-સ્વરોજગારીના વિકલ્પો ઉપલબ્ધ કરાવવાના રાજય સરકારના આયોજન ઉપરાંત ખેડૂતોને સારૂં બિયારણ, પાણી અને વિજળીની સુવિધા આપવાના તથા ગામમાં જ રોજગારી-સ્વરોજગારી આપવાના આયોજનોની વિગતસભર જાણકારી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનું ગૌરવ છે અને તેઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત શ્રેણીબધ્ધ યોજનાઓ દ્વારા ગરીબ કલ્યાણ અને ઉત્થાનના રાહબર બન્યા છે. ગુજરાત સરકાર પણ છેવાડાનો ગરીબ માણસ ઉભો થાય, તેનો ઉત્કર્ષ થાય અને એ રીતે ગરીબીનું નિવારણ થાય એવી સચોટ વ્યુહરચના સાથે કામ કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના લાભાર્થીઓ નાનું પણ સુંદર, સુવિધાસભર મકાન બનાવે, તેને સજાવે તેવો અનુરોધ કરવાની સાથે આ નાનકડા મકાનો ભવિષ્યમાં તેમને મોટા બંગલાના માલિક બનવા તરફ દોરી જાય એવી સંવેદનાસભર શુભકામના પાઠવી હતી.