અયોધ્યાના સંવેદનશીલ રામ મંદિર વિવાદને મંત્રણા મારફતે ઉકેલી શકાય છે તેવા સુપ્રિમ કોર્ટે સૂચન કરવાના દિવસો બાદ જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંદિર શહેરની મુલાકાત લેવાની યોજના ધરાવે છે. મળેલી માહિતી મુજબ ૨૭મી માર્ચના દિવસે યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાત લેનાર છે. સરકારમાં રહેલા ઉચ્ચસ્તરીય સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે યોગી ૨૭મી માર્ચના દિવસે અયોધ્યા પહોંચશે. તેમનો કાર્યક્રમ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ ફૈઝાબાદ જિલ્લા વહીવટીતંત્રને મોકલી દેવામાં આવ્યો છે. નગરપાલિકા ફૈઝાબાદ તરફથી ટીમ દ્વારા તમામ તૈયારીની સમીક્ષા હાથ ધરવામાં આવી ચુકી છે. કાર્યક્રમ આવતાની સાથે જ યોગીની સુરક્ષાને લઈને પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ યોગી આદિત્યનાથ ચાર સ્થળો ઉપર જશે અને બે ડઝનથી વધુ સંતોને મળશે. તેઓ જન્મભૂમિ સ્થળની મુલાકાત લેશે. હનુમાનગડી અને કણક ભવન ખાતે પણ જશે. તેમના જુના મિત્રો પૈકીના એક જગદગુરૂને પણ મળશે. હરીધામ પીઠના જગદગુરૂને તેઓ મળનાર છે.
તેમના કાર્યક્રમોમાં રામ જન્મભૂમિ ન્યાસના રામચંદ્રદાસ પરમહંસના અનુયાયી શ્રી સુરેશદાસને મળવાની પણ યોજના છે. આ ન્યાસ અયોધ્યામાં મંદિરના વિદેશી નિર્માણ અને પ્રોત્સાહનની જવાબદારી સંભાળે છે. તેઓ અહીં પહોંચ્યા બાદ ભાજપના પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતી અને નૃત્યગોપાલદાસને પણ મળશે. ટોચના અધિકારીઓ કાર્યક્રમને લઈને મૌન રાખી રહ્યા છે પરંતુ તેમના કાર્યક્રમને લઈને ભારે ચર્ચા છે.
આભાર – નિહારીકા રવિયા