રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સનદી અધિકારીઓની કરાયેલી બદલીઓમાં ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટરશ્રી આર.એસ. નિનામા (IAS) ની નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી તરીકેની નિમણૂંક થતાં, શ્રી આર.એસ. નિનામાએ આજે તા. ૨ જી મે, ૨૦૧૭ ને મંગળવારના રોજ રાજપપીલા ખાતે જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળી લીધો છે. ૧૯૯૦ માં નાયબ કલેક્ટર (GAS) તરીકે સીધી ભરતીમાં પસંદગી પામીને પોતાની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર અને દાહોદ જિલ્લાના વતની એવા શ્રી આર.એસ.નિનામાએ બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, ડાંગ-આહવા ખાતે નાયબ કલેક્ટરશ્રી – નિવાસી નાયબ કલેક્ટરશ્રી તરીકે, ભરૂચ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટરશ્રી તરીકે અને તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમની નોંધપાત્ર સેવાઓ આપી ચૂક્યા છે. કચ્છ જિલ્લાની ફરજો દરમિયાન ભૂકંપના અસરગ્રસ્તોના પુનઃવર્સન અને પુનઃસ્થાપનની પણ તેમણે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી હતી. તેવી જ રીતે બનાસકાંઠા (પાલનપુર) જિલ્લામાં જે તે સમયે અછતની પરિસ્થિતિ નિવારવા માટે અસરગ્રસ્તોને અછત-રાહતની કામગીરી થકી વિશેષ સહાયરૂપ બન્યાં હતાં. તાપી જિલ્લામાં પણ તા. ૧ લી મે – રાજ્ય સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજન અમલીકરણમાં પણ તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, શ્રી નિનામા પોતે આદિવાસી સમાજમાંથી આવતા હોવાથી અને દાહોદ જિલ્લાના વતની હોવાની સાથોસાથ વિશેષમાં તેમણે આદિવાસી વિસ્તારમાં સેવાઓ માટે મળેલી તકને લીધે આદિવાસી વિસ્તારની લોક-સમસ્યાઓ અને તેની જરૂરિયાતની બાબતોથી પોતે વાકેફ અને અભ્યાસુ હોવાને લીધે સમાજના છેવાડાના આદિવાસી ગરીબ-વંચિતોના વિકાસની ખેવના તેમનામાં રહેલી છે અને તેથી જ આ વિસ્તારના સર્વાંગી વિકાસની કૂચ આગળ ધપાવવાની પ્રાથમિકતાની સાથે સરકારશ્રીની વ્યક્તિગત યોજનાઓના લાભ લોકો સુધી સરળતાપૂર્વક ઝડપથી પહોંચે અને ટીમ નર્મદાના સહયોગથી જિલ્લાના વિકાસકામો ઝડપથી સમયસર પૂર્ણ થવાની સાથે સાથે જિલ્લાની નાની મોટી સમસ્યાના સુચારૂ ઉકેલના પ્રયાસો થકી નર્મદા જિલ્લો વિકાસની નવી કેડી કંડારશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.