નર્મદા જિલ્લામાં તા. ૧૦ -૦૫- ૨૦૧૭ ના રોજ લેવાનારી ગુજકેટ- ૨૦૧૭ ની પરીક્ષા શાંત અને સૌહાર્દપૂર્ણ રીતે યોજાય અને નિર્ભયતાથી પરીક્ષાનું સરળ સંચાલન થાય તથા ગેરરીતીના પ્રલોભનથી દોરવાયા વિના વિધાર્થીઓ પરીક્ષા આપી શકે તેવા હેતુસર ઉક્ત પરીક્ષાના દિવસે તા.૧૦ મી મે, ૨૦૧૭ ના રોજ સવારના ૦૯=૦૦ થી સાંજના ૫=૦૦ વાગ્યા સુધીના સમયગાળા માટે જિલ્લામાં ગુજકેટ- ૨૦૧૭ની પરીક્ષા માટે (૧) સરકારી હાઇસ્કૂલ-રાજપીપળા (૨) શ્રીમતી એસ.આર.મહીડા કન્યા વિનય મંદિર- રાજપીપળા (૩) નવદુર્ગા હાઇસ્કૂલ-રાજપીપળા (૪) શ્રી એમ.આર.વિધાલય-રાજપીપળા ખાતેના નિયત પરીક્ષા કેન્દ્રોમાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ સહિત કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
તદઅનુસાર, પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિન-અધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં. તેમજ કોઇપણ વ્યક્તિએ કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાન ભંગ થાય તેવુ કોઇ કૃત્ય કરવુ / કરાવવુ નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ ઇલેક્ટ્રોનિક આઇટમ પુસ્તક કાપલીઓ ઝેરોક્ષ નકલોનું વહન કરવુ નહી કે કરાવવામાં મદદગીરી કરવી નહી, તેમ પણ આ હુકમમાં વધુમાં જણાવાયું છે.