ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયા છે. ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં શાનદાર દેખાવ બાદ હવે ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આના ભાગરૂપે આજે વડાપ્રધાને ગુજરાતના સાંસદો સાથે ચાય પે ચર્ચા કરી હતી અને વિવિધ સૂચનો કર્યા હતા. આ દરમ્યાન મોદીએ તમા સાંસદોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની જેમ કોંગ્રેસનો સફાયો કરવાની સુચના આપી હતી. ખાસ કરીને સાંસદોને પોતાની ક્ષેત્રમાં આવતી વિધાનસભાની તમામ બેઠકો પર ધ્યાન કેન્દ્રીય કરી ભાજપને વિજય અપાવવા માટે કામે લાગી જવા હાકલ કરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપની સાથે ખુદ પીએમ મોદીએ પણ આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે છેલ્લા ૧૫ દિવસમાં ગુજરાતના સાંસદો સાથે આજે બીજીવાર બેઠક કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ બેઠકો મળે તે માટે ખાસ જવાબદારીઓ સોપવામાં આવી હતી. આજની આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ ૨૬ બેઠકો પર ભાજપના વિજય અંગેની વાત દોરાવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૧૪ની લોકસભાની જેમ જ સંસદસભ્યોએ પોતાના ક્ષેત્રમાં આવતા વિસ્તારોના ઉમેદવારોને સાથે રાખીને વિધાનસભામાં પણ લોકસભાનું પુનરાવર્તન કરવા માટે જણાવ્યું હતું. ગુજરાતના સાંસદ સભ્યો સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસની સાથે કેન્દ્રની સરકારે કરેલા વિકાસના કામો ઉપરાંત વિવિધ યોજનાઓ અને ગુજરાતને લાભ કરતી નીતિઓ અંગે પ્રજાને જાગૃત કરી ફરી એકવાર નરેન્દ્ર મોદીના નામે મત મેળવવા જણાવ્યું હતું. આ બેઠકમાં સાંસદોને કેન્દ્રની નવી યોજનાઓ અને નિર્ણયોની સાથે ગુજરાતના વિકાસ માટે આગામી દિવસોમાં કેન્દ્ર તરફથી મળનારા લાભોની ચર્ચા કરી હતી. ગુજરાતના ૨૬ સાંસદો પૈકી જે સાંસદના ક્ષેત્રમાં વિધાનસભાની બેઠકો પર હાલ કોંગ્રેસનું પ્રભુત્વ છે ત્યાં કોંગ્રેસને પછાડીને ભાજપને કેવી રીતે જીતાડવુ તે માટે મતવિસ્તારના કાર્યકરો અને આગેવાનો સાથે બેસીને ચર્ચા કરવા માટે પમ જણાવ્યું હતું.
આભાર – નિહારીકા રવિયા