આવકવેરા વિભાગે આજે કાળા નાણાં ધરાવનાર લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે તેમની પાસે તેમના દ્વારા બેંકોમાં જમા કરવામાં આવેલી બિનહિસાબી રકમ અંગે પુરતી માહિતી આવી ગઈ છે. આવકવેરા વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે કાળા નાણાં ધરાવનાર લોકોને સ્વચ્છ થઈને નિકળવા માટે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાનો ઉપયોગ કરવો જાઈએ. આવું નહીં કરનાર લોકો સામે કઠોર કાર્યવાહી કરવામાં આવનાર છે. આવું નહીં કરનાર લોકો પાસેથી જમા રકમ પૈકી ૧૩૭ ટકા સુધીની દંડની વસુલી કરવામાં આવશે. કાળા નાણાં ધરાવનારને આવકવેરા વિભાગે ચેતવણી આપ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે ૩૧મી માર્ચ બાદ ૧૩૭.૨૫ ટકા સુધી ટેક્સ લાગુ થશે. વિભાગે આ સંદર્ભમાં રાષ્ટ્રીય સમાચારપત્રમાં જાહેરાતો પણ પ્રકાશિત કરી દીધી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કાઉન ડાઉનની શરૂઆત થઈ ચુકી છે. બિનહિસાબી નાણાં ધરાવનાર લોકો તેની જાહેરાત કરે તે જરૂરી છે. મોડેથી હેરાન થવાનો સમય આવી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેરાત કરવા માટેની છેલ્લી તારીખ ૩૧મી માર્ચ રાખવામાં આવી છે. જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે આવકવેરા વિભાગની પાસે તેમની જમા રકમ અંગે પુરતી માહિતી છે. વિભાગે કહ્યું છે કે આ યોજના હેઠળ કાળા નાણાંની જાહેરાત કરનારની ગુપ્તતા જાળવવામાં આવશે. જાહેરાતમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે યોજના હેઠળ બ્લેક મની અંગે માહિતી નહીં આપનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમના નામ ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રિય તપાસ સંસ્થાઓને સોંપી દેવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે જે લોકો પ્રધાનમંત્રી ગરીબ ક્લ્યાણ યોજનાનો લાભ લઈને પોતાની બ્લેક મની જાહેર કરશે નહીં તેમને જમા રકમ ઉપર ૧૩૭ ટકા સુધી દંડ ચુકવવો પડશે. તેમના કહેવા મુજબ વિભાગ આવા ડિફોલ્ટરો પર નવા બેનામી લેવડ દેવડ કાયદા હેઠળ કાર્યવાહી કરવાથી પણ ખચકાટ અનુભવ કરશે નહીં. પ્રધાનમંત્રી કલ્યાણ યોજના હેઠળ કાળા નાણાંની માહિતી આપનારને ૪૯.૯ ટકા ટેક્સ આપવાની જરૂર પડશે. આવું નહીં કરનાર ઈન્કમટેક્સ રિટર્નમાં આ નાણાંનો ઉલ્લેખ કરનારને ટેક્સની સાથે સાથે ૭૭.૨૫ ટકા દંડ લાગું થશે. સાથે સાથે જે લોકો યોજના હેઠળ કાળા નાણાંનો ખુલાસો કરી રહ્યા નથી અને તપાસ મૂલ્યાંકનમાં આ માહિતી મળે છે તો તેમની પાસેથી ૮૩.૨૫ ટકાના દરે ટેક્સ વસુલ કરવામાં આવશે. જે લોકો યોજનાનો લાભ લઈને કાળા નાણાંની માહિતી સરકારને આપતા નથી તેમને દરોડા દરમિયાન નાણાં સરેન્ડર કરે છે તો ૧૦૭.૨૫ ટકાના દરે ટેક્સ અને દંડ ચૂકવવાની જરૂર પડશે. ટેક્સ દરમિયાન પણ જે લોકો કાળા નાણાં આપી રહ્યા નથી તેમને ૧૩૭.૨૫ ટકા ટેક્સ અને દંડ લાગુ થશે.
બેનામી કાયદામાં દોષિતોને સાત વર્ષની જેલની સજાની જાગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના પર બેનામી સંપત્તિના યોગ્ય બજાર મૂલ્ય પૈકી ૨૫ ટકા અન્ય દંડ પણ ભરવાના રહેશે. આ યોજના હેઠળ કુલ ઘોષિત કાળા નાણાં પૈકી એક ચતુર્થાંશ હિસ્સાને ચાર વર્ષ માટે વ્યાજ વગર સરકારની પાસે જમા રાખવાના રહેશે. આ યોજના ૧૭ ડિસેમ્બરથી શરૂ થઈ ચુકી છે.
આભાર – નિહારીકા રવિયા