ભારતે પાકિસ્તાન સામે કડક વલણ આપનાવતા પાકિસ્તાનના નાગરિકો માટે મેડિકલ વીઝા પર પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે કે, સરકારે આ પગલું કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ ઉઠાવ્યું છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર મેડિકલ વિઝાના નિયમોમાં બદલાવ લાવી નિયમોને વધુ કડક બનાવવા ઈચ્છે છે. મહત્વનું છે કે, મેડિકલ વિઝા પર પ્રતિબંધ મુકાવાને કારણે અનેક પાકિસ્તાની નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર પાકિસ્તાની નાગરિકોને મળનારા વ્યાપાર, ધાર્મિક અને તિર્થયાત્રાના વિઝા ઉપર પણ સમિક્ષા કરવા વિચાર કરી રહી છે. આપને જણાવી દઈએ કે, સરહદ પરના આતંકવાદ, પાકિસ્તાન તરફથી કરવામાં આવતા યુદ્ધ વિરામનો ભંગ અને કુલભૂષણ યાદવને ફાંસીની સજા સંભળાવ્યા બાદ ભારત સરકારને આ પગલુ ભરવાની ફરજ પડી છે.
બન્ને દેશો વચ્ચે વધી રહેલા તણાવ અંગે પાકિસ્તાની રક્ષાપ્રધાન ખ્વાજા આસિફે ભારત પર આરોપ લગાવતા કહ્યું કે, ભારત પાકિસ્તાનની સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપે છે. વધુમાં આસિફે કહ્યું કે, કુલભૂષણને ફાંસીની સજા એ પાકિસ્તાન વિરુદ્ધ ષડયંત્ર કરી રહેલા લોકો માટે એક ચેતવણી છે.
ઉલ્લેખનીય છે કે, ગત ૧ મેના રોજ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય સેનાના ૨ સૈનિકો શહીદ થયા હતા. જેમના મૃતદેહ સાથે પાકિસ્તાની સૈનિકોએ બર્બરતા આચરી હતી. ત્યારબાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ દેખાવો યોજવામાં આવ્યા હતા અને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો જનઆક્રોશ જોવા મળ્યો છે. એ પહેલા પણ પાકિસ્તાની સેના દ્વારા કશ્મીરના પૂંછ સેક્ટરમાં યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો જેમાં ૨ ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
previous post