સ્વચ્છતાને જીવન અને સમાજની આદત બનાવવા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ‘સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, મહિસાગર, નર્મદા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર એમ સાત જિલ્લાઓના ૬૨ સમર્પિત સ્વચ્છતાગ્રહીઓ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પહોંચી ગયા છે. તેમના આ સ્વચ્છતા સંદેશ પ્રવાસનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાએ રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ કર્યું છે. આ સેવાકર્મીઓ સ્થાનિક પ્રશાસન અને ત્યાંના જિલ્લા વિકાસ અધિકારીના આયોજન પ્રમાણે બિહાર રાજ્યના વિવિધ તાલુકાઓના ગ્રામ વિસ્તારોમાં સ્વચ્છતા વિષયક સમજણ આપશે અને લોકજાગૃતિને પ્રોત્સાહિત કરશે.