તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસવા તથા આયુર્વેદિક દવાખાનુ ઘોડાના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસવા ખાતે સ્વાઇન ફ્લુ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું તથા હોમિયોપેથીક પ્રિવેન્ટીવ ડ્રગનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. ૧૫૦૦થી વધુ લોકોએ સ્વાઇન ફ્લુ પ્રતિરોધક ઉકાળો પીધો હતો. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડો.ઝંખના જયસ્વાલ, આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડો.કોમલ કટારા, હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડો.હિરેનભાઇ, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા, નીલકંઠ વાસુકીયા, ડો.ધારા પટેલ, બાપાલાલભાઇ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામ તાલુકા હેલ્થ ઓફીસર ડો.વિરલ વાઘેલાએ સ્વાઇન ફલૂના રોગના ચીન્હો-લક્ષણો અને સ્વાઇન ફ્લુ થી બચવાના સરળ ઉપાયો અંગેની માહીતી આપતા જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લુના રોગમાં શરદી, ઉધરસ, અને ગળામાં દુ:ખાવો, ભારે તાવ તથા શરીર તૂટવુ અને નબળાઇ તથા ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા, શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયાના જેવા લક્ષણો હોય છે. સ્વાઇન ફ્લુ ના ઇન્ફેક્શનથી બચવા માટે વધુ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવુ, ઉધરસ, છીંક વેળા મોઢું-નાક ઢાંકીને રાખવુ, હસ્તધૂનન કરવાનું ટાળવુ તથા હાથ સાબુ અને પાણીથી વારંવાર ધોવા જોઇએ તથા પોષ્ટીક આહાર લેવો અને પુરતી ઉંઘ લેવી જોઇએ. આ ઉપરાંત નાક, આંખ કે મોઢાને અડકતા પહેલા અને પછી તમારા હાથ વારંવાર સાબુથી ધૂવો. તાવ, ઉધરસ, ખરાબ ગળુ, શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઇ પણ લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને વિનામૂલ્યે નિદાન, દવા અને તમામ સારવાર માટે સરકારી દવાખાના અને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઇએ. સ્વાઇન ફ્લુથી ગભરાવાની જરૂર નથી થોડી સાવચેતી રાખવામાં આવે તો સ્વાઇન ફ્લુના ઇન્ફેક્શન થી બચી શકાય છે.
ઘરઘથ્થુ આયુર્વેદિક ઉકાળો બનાવવા અંગે આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડો.કોમલ કટારાએ જણાવ્યુ હતુ કે, ૧ લીટર ચોખ્ખુ પાણી, ૧૫ તુલસીના પાન, ૫ અરડુસીના પાન, અડધી ચમચી ગળો, અડધી ચમચી સુંઠ અથવા આદુ, અડધી ચમચી હળદર, અડધી ચમચી અજમો, ૧૦ નંગ મરી અને અડધી ચમચી ગળો એક તપેલીમાં મિક્સ ૩ ભાગ પાણી બળે ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ ચોખ્ખા કપડાથી ગાળીને હુંફાળો ઉકાળો યોગ્ય માત્રામાં પીવો જોઇએ.
રિપોર્ટર :- નીલકંઠ વાસુકીયા (વિરમગામ)