રાજય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલીકૃત છે, ત્યારે વિદ્યાર્થીઓએ આ યોજનાઓનો લાભ લઇ સ્વાવલંબી અને સ્વનિર્ભર બને, તેમ ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું.
કારકિર્દી આયોજન સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા માહિતી કચેરી સુરેન્દ્રનગરના સંયુકત ઉપક્રમે લીંબડી સર જે હાઇસ્કુલ ખાતે યોજાયેલા કારકિર્દી આયોજન સપ્તાહ ઉજવણી ઉદ્દઘાટન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં અનેક શક્તિઓ પડેલી હોય છે, માત્ર અને માત્ર તેમને બહાર લાવવા જરૂર હોય છે યોગ્ય સમય અને માર્ગદર્શનની. વિદ્યાર્થીઓમાં રહેલી અથાગ શક્તિઓ બહાર લાવવા રાજય સરકાર આવા કાર્યક્રમો થકી અનેક પ્રયાસો કરી રહી છે.
આ પ્રસંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ ચેરમેનશ્રી પ્રકાશભાઇ સોનીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનમાં ધોરણ નવથી કારકિર્દી ઘડતરની શરૂઆત થાય છે. કારકિર્દી ઘડતર માટે વિદ્યાર્થી જીવનમાં ચોક્કસ દ્રષ્ટિકોણ હોવું જરૂરી છે. જે ક્ષેત્રમાં આગળ જવાની ઇચ્છા હોય તે દિશામાં ખંત અને એકાગ્રતાથી દૃઢ નિર્ધાર સાથે મહેનત કરવી જોઇએ. પ્રવર્તમાન સમયમાં જનરલ નોલેજનું જ્ઞાન મેળવી સતત માહિતગાર બની કારકિર્દી ઘડતર કરવા પણ તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
જિલ્લા રોજગાર અધિકારીશ્રી જે.ડી. જેઠવા તથા શિક્ષણ વિભાગના શ્રી વિનોદ વાઘેલાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રોજગાર કચેરી દ્વારા અનેકવિધ કારકિર્દી ઘડતર માટેના કાર્યક્રમો યોજાય છે, જેનો લાભ ઉઠાવવો જોઇએ. રોજગારી માટે ભરતી મેળાનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે, આ ભરતી મેળાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. પૂરતી માહિતીના અભાવે રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકતી નથી. બહોળા પ્રમાણમાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવી સ્વરોજગારી પ્રાપ્ત કરવા પણ જણાવ્યું હતું.
શરૂઆતમાં ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. સ્વાગત પ્રવચન સર જે. હાઇસ્કુલના આચાર્યશ્રી મનુભાઇ જોગરાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે રોજગાર કચેરીના શ્રી વી.ડી. પરમાર, શિક્ષકગણ સહિત બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતાં.