પાલડીના વિકાસગૃહમાંથી યુવતી તેમજ ચાર સગીરાઓને શોધવા પોલીસ દોડધામ કરી રહી છે. સગીરાઓના વતન અને તેમનાં સગાં-સંબંધીઓના ત્યાં પોલીસે તપાસ કરતાં સગીરાઓ મળી ન આવતાં સમગ્ર રાજ્ય પોલીસને સગીરાઓની ભાળ મેળવવા જણાવાયું છે. મહિલા આયોગ પણ આ મામલે તપાસ માટે આજે બપોરે વિકાસગૃહની મુલાકાત લેશે અને પોલીસ કમિશનર સાથે આ બાબતે ચર્ચા કરશે.બુધવારે રાત્રે વિકાસગૃહમાં રહેતી યુવતી અને ચાર સગીરાઓ તેમનાં બાળકને લઇ પાછળના દરવાજાનો વાયર ખોલી ફરાર થઇ હતી. આ અંગે ગૃહમાતાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે વીરમગામ, સંતરામપુર, દેત્રોજ અને સાબરમતી ખાતે તપાસ કરતાં સગીરાઓ મળી ન આવતાં તેમનાં સગાં-સંબંધીના ત્યાં તપાસ કરી હતી, જોકે તેઓની ભાળ ન મળતાં રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી દેવામાં આવી છે.
રાજ્યના મહિલા આયોગે બનાવને ગંભીરતાથી લઇ સમગ્ર ઘટનાનો રિપોર્ટ ત્રણ દિવસમાં સોંપવા વિકાસગૃહને જાણ કરી છે. આયોગની ટીમ આજે વિકાસગૃહની મુલાકાત લઇ સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર સાથે ચર્ચા કરે તેવી શક્યતા છે.
previous post