ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર સત્તારુઢ થયા બાદ આંદોલનકારી યુવા લીડરો ફરી એકવાર વિરોધ પ્રદર્શનના મૂડમાં આવી રહ્યા છે. દલિત લીડર જિગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોએ બુધવારના દિવસે શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનની બહાર જોરદાર દેખાવો કર્યા હતા. સાથે સાથે શરાબના અડ્ડા બંધ નહીં થાય તો આક્રમક આંદોલન કરવાની ચેતવણી પણ આપીદીધી છે. ગોમતીપુર બાદ આજે શહેરના વાડજ વિસ્તારમાં પણ સ્થાનિક લોકો સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. વાડજ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે ગોમતીપુર વિસ્તારમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. આજે બીજા દિવસે પણ ગોમતીપુરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. ભાજપ સરકાર સત્તારુઢ થઇ ચુકી છે. ભાજપ સરકારે શરાબબંધીને કઠોરરીતે લાગૂ કરવાની વાત પણ કરી છે. વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશમેવાણીએ પોલીસ સ્ટેશનની બહાર દેખાવો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યા હતા કે, શરાબના અડ્ડાઓ હજુ પણ આ વિસ્તારમાં ધમધમી રહ્યા છે. મેવાણીએ આ વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. સ્થાનિક લોકોએ શરાબના અડ્ડા અંગે વાત કરી હતી. ગોમતીપુરની મહિલાઓએ એમ કહ્યું હોવાનો દાવો મેવાણીએ કર્યો હતો કે, ગોમતીપુર અને રાજપુર વિસ્તારમાં ૧૫૦થી ૨૦૦ દારુના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. શહેર પોલીસની સાંઠગાંઠ સાથે આ અડ્ડાઓ ચાલી રહ્યા છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનની સામે પણ કેટલાક અડ્ડા ચાલી રહ્યા છે. ગઇકાલે પણ મેવાણીએ હિંસક પ્રદર્શનો કર્યા હતા. બીજી બાજુ મેવાણી દ્વારા દેખાવો કરવામાં આવ્યા બાદ પોલીસ ઉપર પણ દબાણ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
previous post