વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૩મેએ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવનાર છે. ૨૩મે વડાપ્રધાન ગાંધીનગર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના વાર્ષિક સામાન્ય સભાના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે. તો વડાપ્રધાન ઉદઘાટન સમારોહમાં હાજરી આપ્યા બાદ કચ્છમાં ભચાઉ ખાતે ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
તો આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨મીના રોજ ગાંધીનગરખાતે રોકાણ કરે તેવી શક્યતા છે. જ્યાં તેઓ ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપના આગેવાનો પાસેથી રીપોર્ટ પણ મેળવે તેવી શક્યતા છે.
૩૫૦ કિલોમીટર લાંબી કચ્છ બ્રાન્ચ કેનાલનું હાલ ૨૧૪ કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. કચ્છ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ થવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ જમીનની અનઉપલબ્ધતા છે.
બ્રાન્ચ કેનાલ બાંધવા માટે ખેડૂતોની ખાનગી જમીનોને સંપાદન કરવું પડે તેમ છે. તેની સામે નવો જમીન સંપાદન ધારો સરકાર માટે મુશ્કેલી ઉભી કરી રહ્યોં છે.
ખેડૂતો પાસેથી જમીન મેળવવાની કાર્યવાહી કપરી બની રહી છે. જેના કારણે આગામી ચૂંટણી પહેલા કચ્છ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ પાડવામાં સરકાર અસહાયતા અનુભવી રહી છે.