કર્ણાવતિ યુનિવર્સિટીએ આજે મુંબઈના પ્રસિધ્ધ ડબ્બાવાળાના પ્રતિનિધિઓ સાથે ‘Conversations@KU’, કાર્યક્રમના ભાગરૂપે હાથ ધરેલી નવતર પહેલ હેઠળ સમકાલિન વિષયો ઉપર ચર્ચા અને જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મુંબઈના ડબ્બાવાળાઓનું પ્રતિનિધિત્વ રિતેશ આંદ્રે અને જ્ઞાનેશ્વર કિનાસે કર્યું હતું. તેમણે તેમના અનોખા લોજીસ્ટીક્સ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ મોડેલ અંગે માહિતી આપી હતી, જે સ્વયં એક ચોકસાઈ, કાર્યક્ષમતા અને સમયબધ્ધતાનો ઉત્તમ નમૂનો બની રહી છે.
કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં શ્રી રિતેશ આંદ્રેએ જણાવ્યું હતું કે “તેનો પ્રારંભ મહાદેવ હવાજી બચેચેએ મુંબઈમાં 1890માં એક માણસ અને એક ગ્રાહક સાથે કર્યો હતો. આ લન્ચ ડીલીવરી સર્વિસની 1956માં નૂતન મુંબઈ ટિફીન બોક્સ સપ્લાયર્સ ટ્રસ્ટના નામે ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ નોંધણી કરવામાં આવી હતી. આજે 5,000 થી વધુ ડબ્બાવાળા રોજે રોજ 2,00,000 ગ્રાહકોને સર્વિસ પૂરી પાડે છે અને એ દ્વારા રોજે રોજ 4,00,000 વ્યવહારો થાય છે. અમે ગ્રાહકોને મુંબઈની આસપાસ 80 કી.મી.ના વિસ્તારમાં સર્વિસ પૂરી પાડીએ છીએ.”
“ડબ્બા ડીલીવરી સિસ્ટમનો ચોકસાઈનો દર 99.9997 ટકા જેટલો છે. 10 લાખ વ્યવહારોમાંથી માત્ર એક જ ક્ષતિને સિગ્મા સર્ટિફિકેશન હેઠળ માન્ય ગણવામાં આવે છે. ડબ્બાવાળાઓના કેસમાં 60 લાખ વ્યવહારોમાં માત્ર એક જ ક્ષતિ જોવા મળે છે. મુંબઈના ડબ્બાવાળા રોજે રોજ સ્વાદિષ્ટ ભોજનનું ટીફિન બોક્સ (અને એ જ દિવસે ખાલી ટીફિન બોક્સ પરત કરે છે) પહોંચાડવાનું કામ ચોકસાઈથી કરે છે. આ કામગીરી અત્યંત કાળજી અને ચોકસાઈથી કરાય છે. અમે દુનિયાને દર્શાવી રહ્યા છીએ કે વિકેન્દ્રિત વર્કફોર્સ પણ કોઈ આધુનિક ટેકનોલોજીકલ દરમ્યાનગીરી વગર સિક્સસિગ્મા સર્ટિફિકેશન હાંસલ કરી શકે છે.” તેમ શ્રી આંદ્રેએ જણાવ્યું હતું.