શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરની પ્રિઝનર વાનમાંથી ડીઝલની ચોરી કરવાનું કૌભાંડ સામે આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. હેડક્વાર્ટર પાસે દસ માળિયા ટાવર પાસે પાર્ક કરેલી પ્રિઝનર વાનમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી. આ ચોરી પાછળ કોઇ લૂંટારુ કે ચોર ટોળકી નહીં પરંતુ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા બે હેડ કોન્સ્ટેબલના પુત્રો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. હાલ તો, પોલીસે બન્ને યુવક વિરુદ્ધમાં શંકા વ્યકત કરીને ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. નાના ચિલોડા વિસ્તારમાં આવેલા સાગર ટેનામેન્ટમાં રહેતા અને પોલીસ હેડક્વાર્ટરના એમ.ટી.વિભાગમાં હેડકોન્સટેબલ તરીકે ફરજ બજાવતા સરજિતસિંહ યાદવે સરકારી ગાડીઓમાંથી ડીઝલ ચોરી થવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. સરજિતસિંહ યાદવે માધુપુરા પોલીસ સ્ટેશનમાં બે પોલીસ હેડ કોન્સ્ટેબલના પુત્રો વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, સરજિતસિંહ યાદવ એમ.ટી.વિભાગમાં પ્રિઝનર વાનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે સવારે નવેક વાગ્યાની આસપાસ સરજિતસિંહ તેમને ફાળવેલી પ્રિઝનર વાન લેવા માટે શાહીબાગ હેડક્વાર્ટરમાં દસ માળિયા ટાવર પાસે ગયા હતા. દસ માળિયા ટાવર પાસે મોટાભાગની પ્રિઝનર વાન પાર્ક કરવામાં આવે છે. સરજિતસિંહ વાનમાં બેસવા ગયા ત્યારે તેમની નજર ડીઝલ ટેન્કનાં ઢાંકણા પર ગઇ હતી. ટેન્કનું ઢાંકણું ખુલ્લું હોવાથી તેમને તરત જ ડીઝલ ચોરી થઇ હોવાની શંકા જતાં તેમણે એમ.ટી.વિભાગના પીએસઓને જાણ કરી હતી. પીએસઓએ તાત્કાલીક એમ.ટી.વિભાગના પીઆઇને સમગ્ર હકીકતની જાણ કરી હતી. દરમિયાનમાં સરજિતસિંહે અન્ય પ્રિઝનર વાન પણ ચેક કરી હતી તો ચાર વાનનાં ઢાંકણાં ખુલ્લાં હતાં. પોલીસ વાન નંબર ૧૮૩, ૫૩, ૧૪૨,૧૪૫માંથી ડીઝલની ચોરી થઇ હતી. ઘટનાની જાણ એમટી વિભાગના અધિકારીઓને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે માધુપુરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચોર ટોળકીઓએ પોલીસની ચાર પ્રિઝનર વાનમાંથી કુલ ૩૫૦ લિટર ડીઝલ ચોરી કરી હતી. દરમ્યાન પોલીસ કર્મચારીઓની નજર પાર્કિંગમાં પડેલી એસએમએલ પીસી બસ તરફ ગઇ હતી. પાર્કિંગમાં પડેલી આ બસમાં મોડી રાત્રે કોઇ કારચાલકે અકસ્માત કર્યો હતો. બસના ડ્રાઇવર સાઇડના ભાગને થોડુંક નુકસાન થયું હતું અને કોઇ કારના સાઇડ લાઇટના કાચ પણ તૂટેલા પડેલા હતા. જે કાલે મોડી રાત્રે અકસ્માત કર્યો હતો. તેનાં ટાયરનાં નિશાન ધૂળમાં પડી ગયા હતાં. પોલીસ ટાયરનાં નિશાન જોતાં જોતાં આગળ પહોંચી તો ત્યાં એક કાર ઊભી હતી. પોલીસ કારની તપાસ કરી તો તેની સાઇડ લાઇટ અને મેઇન લાઇટ તૂટેલી હતી. કારના માલિકની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા સિદ્ધરાજસિંહ ભક્તિસિંહ સોલંકીની છે. મોડીરાત્રે સિદ્ધરાજસિંહ અને તેનો મિત્ર દર્પણસિંહ કલ્યાણસિંહ રાઠોડ (રહે દેવજીપુરા પોલીસ લાઇન) પુરઝડપે કાર લઇને આવ્યા હતા અને પોલીસની બસ સાથે અકસ્માત કર્યો હતો. કોઇને ખબર પડે નહીં માટે મોડી રાત્રે ચુપચાપ કાર પાર્ક કરીને જતા રહ્યા હતા. પોલીસને બન્ને યુવકો પર શંકા ગઇ હતી કે તેમણે જ મોડી રાત્રે પ્રિઝનર વાનમાંથી ડીઝલની ચોરી કરી છે. ત્રણ પ્રિઝનર વાનના ઇન્ચાર્જ ઘટના સ્થળે આવી ગયા હતા. જ્યાં તેમણે તપાસ કરી હતી કે જેમાંથી કુલ ૩૫૦ લિટર ડીઝલ ગાયબ હતું. ડીઝલ ચોરી પાછળ પોલીસને સિદ્ધરાજસિંહ અને દર્પણસિંહ પર શંકા જતાં તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
next post