ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ આઈપીએલ ફ્રેન્ચાઈઝ મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટેલેન્ટ સ્કાઉટ તરીકે જોડાયો છે. ૨૦૧૫ અને ૨૦૧૭માં મુંબઈ ચેમ્પિયન બન્યું તે સમયે પાર્થિવ ટીમનો ભાગ હતો. ૩૫ વર્ષીય પટેલ હવે મુંબઈના કોચિંગ સ્ટાફ અને સ્કાઉટ ગ્રુપ સાથે કામ કરશે અને ટીમને નવી પ્રતિભા શોધવામાં મદદ કરશે. મુંબઈ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યુ કે, પાર્થિવ મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ હતો ત્યારે અમને તેના ક્રિકેટિંગ બ્રેઈન વિશે જાણ થઇ હતી. અમે ખુશ છીએ કે તે હવે વન ફેમિલી ટીમનો ભાગ છે. અમને ખાતરી છે કે ટીમ માટે સારું યોગદાન આપશે. પાર્થિવે પોતાના નિવેદનમાં કહ્યું કે, “મુંબઈ માટે ત્રણ વર્ષ રમવાની મને બહુ મજા આવી હતી. હવે મારા જીવનમાં નવા અધ્યાયની શરૂઆત થઇ રહી છે. હું બહુ ઉત્સુક છું અને મને આ તક આપવા બદલ મુંબઈ ટીમનો આભાર માનું છું.” ઉલ્લેખનીય છે કે, પટેલની ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા પણ ઑનરરી ક્રિકેટ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્તિ કરાઈ છે.