ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે મહિનાથી વાઇસ ચાન્સેલરની જગ્યા ખાલી હોવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓ વિરૂધ્ધ કારણદર્શક નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી જૂન માસમાં મુકરર કરી છે. ચંદ્રવદન ધ્રુવ દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત યુનિવર્સિટી એ રાજયની સૌથી મોટી યુનિવર્સિટી છે. જે હેઠળ આશરે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ વિવિધ સંલગ્ન કોલેજીસ અને ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. આટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવું અને પરીક્ષાઓના આયોજન ઉપરાંત વહીવટી કાર્યોની બહુ મોટી જવાબદારી યુનિવર્સિટીની હોય છે પરંતુ આશ્ચર્યની વાત છે કે, છેલ્લા બે મહિનાથી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જગ્યા ખાલી પડી હોવાછતાં રાજય સરાકર અને સંબંધિત સત્તાવાળાઓ આ મામલે ગંભીર ઉપેક્ષા અને નિષ્કાળજી સેવી રહ્યા છે. યુનિવર્સિટીના કુલપતિના હોદ્દા વિના લાખો વિદ્યાર્થીઓ શિક્ષણ અને યુનિવર્સિટીના વહીવટી અને સંચાલન સહિતની કામગીરી પર ગંભીર અસરો પડી રહી છે. પીઆઇએલમાં કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.એમ.એન.પટેલનો કાર્યકાળ તા.૨૨-૨-૨૦૧૭ના રોજ પૂર્ણ થઇ ગયો છે. રાજયપાલ દ્વારા યુજીસી એકટ હેઠળ ત્રણ સભ્યોની પેનલ બનાવવાની હોય છે અને તેની ભલામણના આધારે વાઇસ ચાન્સેલરની નિમણૂંક કરવાની હોય છે પરંતુ હજુ સુધી ગુજરાત યુનિવર્સિટીના આટલા મહત્વના પદ પર કોઇ નિમણૂંક કરાઇ નથી. હાલ ડો.હિમાંશુ પંડયા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જે ભાજપના પ્રવકતા ભરત પંડયાના સગાભાઇ થતા હોવાની હકીકત પણ ગુજરાત હાઇકોર્ટના ધ્યાન પર વિસ્તારથી મુકવામાં આવી હતી.
તા.૧૦-૧-૨૦૧૭થી રાજય સરકારના સત્તાવાળાઓ સમક્ષ આ સમગ્ર મામલે રજૂઆત કરવા છતાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જગ્યા ભરવા કે તેની સત્તાવાર નિમણૂંક સંબંધી કોઇ કાર્યવાહી સરકાર દ્વારા હાથ નહી ધરાતાં આખરે ગુજરાત હાઇકોર્ટમાં આ જાહેરહિતની રિટ અરજી કરવાની ફરજ પડી છે.
previous post