શહેરના શાહીબાગ વિસ્તારમાં પ્રાચીન અને સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિરમાં દર્શનનો સમય ઘટાડી દેવાના આર્મી કેન્ટોનમેન્ટના નિર્ણયને લઇને ભારે વિવાદ જાગ્યો હતો. હજારો શ્રધ્ધાળુ ભકતોમાં ઉઠેલા ભારે વિવાદ અને ગઇકાલે રેલી કાઢી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરવા અને મંદિરના દર્શનનો સમય પૂર્વવત્ કરવા કરેલી માંગણી અને આખાય મામલામાં સાધુ-સંતો અને મહંતો આગળ આવતાં આખરે આર્મી સત્તાધીશોએ પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે. આજે કેમ્પ કેન્ટોનમેન્ટ આર્મી સત્તાધીશો દ્વારા મંદિરમાં દર્શનનો સમય ઘટાડો દર્શાવતા બોર્ડ અને પાટિયા ઉતારી લીધા હતા. આ સાથે જ કેમ્પ હનુમાનજી દાદાના લાખો શ્રધ્ધાળુ ભકતોની ધાર્મિક આસ્થાની જીત થઇ છે. મંદિરના દર્શનનો સમય પૂર્વવત્ બનતાં લાખો શ્રધ્ધાળુ ભકતોમાં ભારે ખુશી અને સંતોષની લાગણી છવાઇ ગઇ છે. કેમ્પ હનુમાનજી મંદિરનો દર્શનનો સમય પૂર્વવત્ બનતાં હવે શ્રધ્ધાળુ ભકતો સામાન્ય દિવસોમાં સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી અને શનિવારે સવારે ૫-૩૦ વાગ્યાથી રાત્રિના ૧૧-૦૦ વાગ્યા સુધી દર્શન કરી શકશે. શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ ખાતે આવેલુ સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિર અગાઉ સવારે ૬-૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેતું હતું અને ખાસ કરીને શનિવારે સવારે ૫-૩૦થી રાત્રે ૧૧-૦૦ વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેતું હતું પરંતુ હવે આર્મી કેન્ટોનમેન્ટે સુરક્ષાના કારણોસર મંદિરનો દર્શનનો સમય ઘટાડી રાત્રે ૮-૪૫ સુધીનો કરી દીધો છે. જેના કારણે હવે લાખો શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ રાત્રે ૧૦ વાગ્યા સુધી કેમ્પ હનુમાનજી દાદાના દર્શન નહી કરી શકે. આર્મી કેન્ટોનમેન્ટના આ નિર્ણયને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગઇકાલે સેંકડો શ્રધ્ધાળુ ભકતોએ ટુ વ્હીલર પર એક વિશાળ રેલી યોજી ગાંધીનગર કમલમ્ ખાતે પહોંચ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરવા અને મંદિરના દર્શનનો સમય પૂર્વવત્ કરવા રજૂઆત કરી ઉગ્ર માંગણી કરી હતી. શ્રધ્ધાળુ ભકતોએ જણાવ્યું હતું કે, કેમ્પ હનુમાનજી મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક હોઇ ભકતોમાં તે અનન્ય મહાત્મ્ય ધરાવે છે. લાખો શ્રધ્ધાળુ ભકતો અમદાવાદ, અમદાવાદની આસપાસના વિસ્તારોમાંથી અને રાજયના અન્ય શહેરો કે જિલ્લા-તાલુકા, ગામોમાંથી ખાસ દાદાના દર્શનાર્થે આવતા હોય છે. દર મંગળવારે અને શનિવારે તો દાદાના ખાસ ભકતો કેમ્પ હનુમાનજી મંદિરે દર્શન કરવા અચૂક આવતા હોય છે. તેઓ પોતાની નોકરી કે ધંધો-રોજગારના સ્થળોએથી છૂટીને પણ રાત્રે દાદાના દર્શન કરવાનો તેમનો નિત્યક્રમ જાળવતા હોય છે ત્યારે હવે મંદિરના દર્શનનો સમય ઓછો થઇ જતાં તે સમયમાં દર્શન કરવું હજારો શ્રધ્ધાળુ ભકતજનો અને દર્શનાર્થીઓ માટે વ્યવહારૂ દ્રષ્ટિકોણથી પણ શકય બને નહી તેમ છે અને તેથી જ શ્રધ્ધાળુ ભકતોમાં મંદિરનો સમય પાછો રાત્રે ૧૦ વાગ્યા સુધી કરી ત્યાં સુધી મંદિરના દર્શન ખુલ્લા રાખવા ઉગ્ર માંગણી ઉઠવા પામી છે. વારે-તહેવારે દૂરદૂરથી આવતાં લોકો મંદિરમાં ભકતોની ભીડ હોવાના કારણે મોડે મોડે પણ રાત સુધી નંબર આવી જાય એટલે દાદાના દર્શન પામતા હતા પરંતુ હવે આ તેમાં ભારે અડચણ ઉભી થતાં શ્રધ્ધાળુ ભકતોની લાગણી દુભાઇ છે અને તેથી આજે વિશાળ રેલી યોજી કેમ્પ હનુમાનજી મંદિરનો સમય પૂર્વવત્ કરવા માંગણી કરી હતી. બીજીબાજુ, ભકતોની લાગણીને લઇ સાધુ સમાજ અને સંતો પણ આગળ આવ્યા હતા. જેને લઇ મામલો ગરમાતા આખરે આર્મી સત્તાધીશોએ કેમ્પ હનુમાનજી મંદિરના દર્શનનો સમય પૂર્વવત્ કરી દીધો હતો. આ અંગે મંદિર સત્તાવાળાઓને સત્તાવાર જાણ કરાઇ હતી.
previous post